તાજેતરમાં સાયખા જીઆઇડીસીની સંજોપીન ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પર્યાવરણ કાયદાના નિયમોની ઐસી-તૈસી કરીને કેમીકલયુક્ત પાણી જાહેરમાં ઠાલવી દેવાની ઘટના બનતા ભરૂચ જિલ્લા મા ચકચાર મચી જવા પામી છે. અહેવાલ મુજબ, સાયખા જીઆઈડીસી સ્થિત સંજોપીન ઈન્ડસ્ટ્રીઝ દ્વારા શુક્રવારના રોજ દિવાલમાં બાકોરૂં પાડીને માનવ, પશુ, જળચર તથા પર્યાવરણ માટે હાનિકારક એવા કેમિકલયુક્ત પાણીના મોટા જથ્થાને જાહેરમાં ઠાલવી દઈ પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. ધોળાદિવસે ટ્રીટમેન્ટ વગરનું કેમિકલ રસાયણ યુક્ત પાણી બહાર ઉલેચી નાંખતા જમીનમાં જહરીલા પદાર્થો ફેલાઈ ગયા છે. જે લોકોના તથા પશુ, પક્ષીઓના આરોગ્ય માટે ભારે જોખમ બની શકે છે.
આ અંગે જાગૃત નાગરિક દ્રારા જી.પી.સી.બી.ને જાણ કરતા GPCB ભરૂચ ડિવિ. ના આર.ઓ. કિશોરસિંહ વાઘમસિંહ એ તાત્કાલિક ઘટનાસ્થળે તેમની ટીમ મોક્લી તાત્કાલીક ધોરણે નમૂનાઓ લઈ તાત્કાલિક કાર્યવાહી આરંભી દીધી હતી. તેમણે જવાબદારો સામે પગલાં લેવામાં આવશે કોઈપણ ચમરબંધીને નહીં છોડાય તેવું આશ્વાસન આપ્યું હતું.