ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ રીતે દારૂનો વેપલો કરી રહયાં છે તેનો અંદાજો અંકલેશ્વરમાં બનેલી ઘટના પરથી આવે છે. અલઞ અલઞ 6 પોલીસ સ્ટેશનોમાં વિવિધ ગુનાઓ હેઠળ જપ્ત કરવામાં આવેલી વિદેશી દારૂની એક લાખ કરતાં વધારે બોટલનો કડકીયા કોલેજ નજીક આમલાખાડી પાસે રોડરોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેર એ ડીવીઝન, રૂરલ, જીઆઇડીસી, શહેર બી ડિવિઝન, પાનોલી અને હાંસોટ પોલીસ મથક માં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવા માટે પોલીસે કોર્ટની મંજૂરી માગી હતી.
દારૂની એક લાખ ઉપરાંત બોટલો ઉપર પ્રાત અધિકારી તેમજ ડી.વાય એસ.પી સહિતના અધિકારીઓની હાજરીમાં રોડ રોલર ફેરવાયું..
કોર્ટે 1.18 કરોડની કિમંતની એક લાખથી વધુ બોટલોનો નાશ કરવા માટે મંજૂરી આપતા બુધવારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાંત અધિકારી ભવદિપ સિંહ જાડેજા, ડીવાયએસપી ડૉ.કુશલ ઓઝા સહિતના અધિકારીઓની હાજરીમાં બોટલો પર રોલર ફેરવી દેવાયું હતું. દારૂની બોટલો સગેવગે ન થાય તે માટે સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.