આજથી બરાબર 78 વર્ષ પહેલા 15 મી ઓગષ્ટ 1947 ના દિવસે ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. ત્યારથી આજના દિવસને સ્વતંત્ર દિવસ તરીકે પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લાના નબીપુર ગામે વિવિધ સંસ્થાઓ અને શાળાઓમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી. નબીપુર ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે ગામના સરપંચે ગામના ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો ની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન કર્યું હતું. ગામની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે કન્યાશાળા, કુમારશાળા, હાયર સેકન્ડરી સ્કુલ તેમજ મડ્રસા એ અલવીયુલ હુસૈની નબીપુર ખાતે ધ્વજ વંદન કરાયું હતું. નબીપુર હોસ્પિટલ ખાતે પણ ઓફીસ ઇન્ચાર્જની હાજરીમાં ધ્વજ વંદન કરાયું હતું. નબીપુર પોલીસ મથકમાં સમગ્ર પોલીસ સ્ટાફે હાજર રહી ધ્વજ વંદન કર્યું હતું. નબીપુર કન્યા શાળા ખાતે બાળાઓ દ્વારા રંગારંગ કાર્યક્રમ રજુ કરાયો હતો.