તાજેતરમાં બાંગ્લાદેશમાં મોટાપ્રમાણમાં દેખાવો થતાં ત્યાંના તત્કાલીન વડાપ્રધાન શેખ હશીનાની સરકાર ઉથલી પડતા ભારે અરાજકતા અને અશાંતિનો માહોલ પેદા થયો હતો,તેને પગલે શેખ હશીનાએ દેશ છોડીને ભારતમાં શરણ લેવું પડ્યું હતું. ત્યારબાદ બાંગ્લાદેશમાં દેખાવો કરી રહેલ લોકો દ્વારા ત્યાં વસતા લઘુમતિ હિન્દુ સમાજના પરિવારો પર અત્યાચાર કરવાની તેમજ હિન્દુ ધાર્મિક સ્થાનોને નુકશાન કરવાની ઘટનાઓ જોવા મળી છે.
આ બાબતને લઇને ભરૂચના દહેજ બાયપાસ પરની વિવિધ સોસાયટીઓના રહીશોએ આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદન આપીને ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે દરમિયાનગીરી કરીને બાંગ્લાદેશના સત્તાધીશોને ત્યાંના હિન્દુ પરિવારો પર થતા અત્યાચાર રોકવા તાકીદ કરાય એવી માંગ કરી હતી.આવેદનમાં જણાવાયું હતું કે તા.૧ લી ઓગસ્ટ થી બાંગ્લાદેશમાં ભયંકર અશાંતિ ફેલાતા દેખાવકારો દ્વારા નિર્દોષ હિન્દુ પરિવારોને નિશાન બનાવીને તેમના પર અત્યાચાર કરવામાં આવે છે.બાંગલાદેશમાં ફેલાયેલી અરાજકતાને પગલે હિન્દુ પરિવારોના જાનમાલને ભારે નુકશાન પહોંચાડાઇ રહ્યું છે.
ત્યારે ભરૂચના દહેજ બાયપાસ પરની સોસાયટીઓના રહીશો આ ઘટનાઓને વખોડી કાઢે છે અને ભારત સરકાર બાંગ્લાદેશના હિન્દુ સમુદાયના રક્ષણ માટે યોગ્ય પગલા ભરે એવી માંગ કરવામાં આવી હતી.