ભરૂચ જિલ્લાના આમોદ ખાતે અંધશ્રદ્ધામાં અંધ બનેલા પરિવારજનોએ માસુમ બાળકનો જીવ ગુમાવ્યો હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે.
જેમાં 11 વર્ષીય એક બાળકને કોઈ ઝેરી જાનવર કરડતા તેને હોસ્પિટલમાં લઈ જવાના બદલે પરિવારજનો ભુવા પાસે વિધિ કરાવવા બેસતા તે બાળક ઢળી પડતા તેને ત્યાર બાદ હોસ્પિટલ માં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો. જોકે બાળકની વિધિનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં આમોદ પોલીસે બાળકના મૃતદેહને કબરમાંથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે.
એક તરફ શિક્ષણનો ગ્રાફ વધતો જાય છે અને લોક જાગૃતિ માટેના વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે,તો બીજી તરફ સમાજમાંથી અંધશ્રદ્ધાનું દૂષણ દૂર થવાના બદલે હજુ પણ ઘણાખરા લોકો તેમાં ડૂબી રહયા છે,અને તેનું ગંભીર પરિણામ ભોગવી રહ્યા છે.આવો જ એક ચોંકાવનારો કિસ્સો આમોદ પંથકમાંથી પ્રકાશમાં આવ્યો હતો.આમોદના ભીમપૂરા ગામ ખાતે રહેતા કાંતિ રાઠોડના 11 વર્ષીય પુત્ર અરુણ રાઠોડને કોઈ ઝેરી જાનવર કરડી ગયું હતું. ઝેરની અસરથી અરુણ રાઠોડ પોતાને અસ્વસ્થ અનુભવી રહ્યો હતો,જે અંગેની જાણ તેના પરિવારને થતા પિતા કાંતિ રાઠોડને કરી હતી. આ સમયે પરિવારજનોએ તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાના બદલે ગામમાં આવેલા ભાથીજી મહારાજના મંદિરના મહંત તેના કાકા સંજય રાઠોડ પાસે ઝેર ઉતારવાની વિધિ માટે લઇ ગયા હતા,જ્યાં ઈલાજ કરવાના બદલે અંદાજીત બે કલાક સુધી સારવાર વગર બાળક તરફડીયા માર્યા બાદ તે ઢળી પડ્યો હતો.જે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.માસૂમના અચાનક મોતથી ગ્રામજનોમાં ભારે ચકચાર મચી ગઈ હતી.જ્યારે અંધશ્રદ્ધાના કારણે માસુમે પોતાના જીવથી હાથ ગુમાવ્યો હતો.
આ બબાતે જબુંસર ડીવીઝનના ડીવાયએસપી પી.એલ.ચૌધરીએ જણાવ્યું હતું.કે,બાળકને કોઇ ઝેરી જાનવરે દંશ દેતાં તેને આરોગ્ય કેન્દ્રના બદલે તેના કાકા ભુવાનું કામ કરતાં તેમના પાસે લઇ ગયાં હતાં. જ્યાં ભુવા જાગરિયા કર્યાં બાદ તેને સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયાં હતાં.જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું તબીબે જણાવ્યું હતું.આ મામલામાં અંધશ્રદ્ધા અને પરીવારની નિષ્કાળજી છતી થઇ છે.જેના પગલે બાળકનો દફનાવેલો મૃતદેહ બહાર કાઢી તેનું પોસ્ટમોર્ટમ કરાવવા સાથે ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે.
યાસીન દિવાન, આમોદ