Geo Gujarat News

વાગરા: આરતી દ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આશાસ્પદ યુવકનું શંકાસ્પદ મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી

આરતી દ્રગ્સ કંપનીમાં રહસ્યમય રીતે મોતને ભેટેલ યુવકના પરિવારે પેનલ પી.એમ ની માંગ કરી..

બનાવ અંગે વાગરા પોલીસ ચોપડે નોંધાયેલ માહિતી અનુસાર વાગરા તાલુકાના સાયખા ગામે રહેતો 22 વર્ષીય કરણ રણજિત રાઠોડ જે સાયખા જીઆઇડીસી માં આવેલ આરતી દ્રગ્સ નામની કંપનીમાં નોકરી કરતો હતો. નિત્યક્રમ મુજબ તે તારીખ.૦૫/૦૯/૨૦૨૪ ના રોજ કંપનીમાં નોકરી પર ગયો હતો. તે દરમિયાન લગભગ 4 વાગ્યાના અરસામાં કંપનીમાં આવેલ કુલરમાં પાણી પીવાજતા તેને વીજ કરંટ લાગતા તે ત્યાંજ બેફાન થઈ જમીન ઉપર ઢળી પડ્યો હતો.

ઘટનાની જાણ થતાંજ કંપનીમાં કામ કરતા અન્ય કામદારો પણ બનાવવાળી જગ્યાએ દોડી જઇ જોતા કરણ ત્યાં બેભાન હાલતમાં પડેલ હતો. જેથી તેને તાત્કાલિક વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવતા હાજર પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કરેલ હતો. વાગરા પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો..

ઘટનાની જાણ થતાંજ પરિવારજનો સહિત સગા સંબંધીઓ તેમજ ગામના આગેવાનો પણ વાગરા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આશાસ્પદ યુવકનું મોત નિપજતા પરિવારના માથે જાણે આભ તૂટી પડ્યું હતું. હોસ્પિટલ બહાર લોકોના ટોળા એકત્ર થયા હતા. મરણજનાર યુવકનું કરંટ લાગવાથી મોત નિપજ્યું કે પછી અન્ય કોઈ કારણોસર યુવક મોતને ભેટ્યો છે. તેનું ચોક્કસ કારણ જાણવા પરિવારે મૃતક યુવાનનું પેનલ પી.એમ કરવાની માંગ કરી હોવાનુ પણ જાણવા મળ્યું હતું.

વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..

પરંતુ પેનલ પી.એમ કરવા માટે ડોક્ટરની વ્યવસ્થા ન હોવાથી તારીખ. ૦૬/૦૯/૨૦૨૪ના રોજ સવારે મૃતકનું પેનલ પી.એમ કરવામાં આવશેની માહિતી આધારભૂત સૂત્રો થકી સાંપડી હતી. આરતી દ્રગ્સ કંપનીમાં મોતને ભેટેલ યુવકના મોતને લઈ પંથકમાં તરેહ-તરેહની ચર્ચાઓ વહેતી થઈ છે. જોકે યુવકનું કયા કારણોસર મોત નિપજ્યું છે. તેતો પીએમ રિપોર્ટ આવ્યા બાદજ ચોક્કસ કારણ જાણવા મળશે. જોકે હાલતો પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

નઈમ દિવાન, વાગરા

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *