ભરૂચ જિલ્લાના વાગરા ટાઉનમાં બ્યુટીપાર્લર ચલાવતી યુવતીએ સોશ્યલ મીડિયામાં બનેલા મિત્રને મેસજ અને વીડિયોકોલ નહિ કરવાનું જણાવ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા યુવતીના મિત્રએ વાગરા આવી તેને ડરાવી ધમકાવી તેના બ્યુટીપાર્લરમાં ગેરકાયદેસર રીતે ઘૂસી જઈ યુવતીના ગળા ઉપર ચપ્પુ મૂકી યુવતીને દુકાનમાં ગોંધી રાખી હતી.
જેની જાણ યુવતીએ મેસેજથી તેના દુકાન માલિકને કરતા તેઓએ વાગરા પોલીસને સમગ્ર ઘટનાની માહિતી આપતા જ વાગરા પોલીસ મથકના જાંબાઝ મહિલા પોલીસ સબ ઇન્સપેક્ટર અનિતાબા જાડેજા તેઓના સ્ટાફ સાથે ઘટના સ્થળ પર પહોંચી જોતા બ્યુટીપાર્લરમાં યુવકે ચપ્પુની નોક ઉપર યુવતીને બંધક બનાવી હતી. બનાવની ગંભીરતાને પારખી અધિકારીએ પોતાની સુજબૂજથી ફિલ્મી સ્ટાઇલથી દુકાનનો દરવાજો તોડી યુવકના ચુંગાલમાંથી ભોગબનનાર યુવતીને સલામત રીતે છોડાવી તેને ગોંધી રાખનાર ઈસમને ધડ દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વાગરા પંથકની એક યુવતીને સોશ્યલ મીડિયામાં એક યુવક સાથે થયેલી મિત્રતા રાખવી ભારે પડી હતી. વાગરા નગરમાં એક મહિલા દુકાન ભાડે રાખીને બ્યુટીપાર્લર ચલાવે છે. તેની અમદાવાદના દેત્રોજના પ્રકાશ દશરથભાઇ ઓડ સાથે 15 દિવસ પહેલાં જ મિત્રતા થઈ હતી.તેઓ બંને અવાર નવાર મેસેજ અને વીડિયોકોલથી એક બીજા સાથે વાતચીત પણ કરતા હતા.પરતું કોઈ કારણોસર યુવતીએ પ્રકાશ ઓડને તેની સાથે મિત્રતા નહિ રાખવા અને મેસેજ કે કોલ નહિ કરવા જણાવ્યું હતું. જેથી પ્રકાશ ઓડને લાગી આવતા તે તારીખ ૦૫/૦૯/૨૦૨૪ ના રોજ સવારે ૮ કલાકે વાગરા ખાતે યુવતીના બ્યુટીપાર્લર ઉપર આવી યુવતીના ગળા પર ચપ્પુ રાખી બળજબરી પુર્વક બ્યુટીપાર્લરમાં ગોંધી તેની સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો.
આ અંગેની જાણ યુવતીએ તેની દુકાનના માલિક વિશાલકુમાર ઇશ્વરભાઇ સોનારને મેસેજથી કરીને પોલીસની મદદ માંગી હતી.જેથી દુકાન માલિકે જેની જાણ વાગરા પોલીસ મથકે કરતાં જ પીએસઆઈ એ.કે.જાડેજા અને તેમની ટીમ તાત્કાલિક તે સ્થળ પર પહોંચી બ્યુટીપાર્લરનો દરવાજો તોડી અંદર રહેલી યુવતીને સલામત રીતે યુવક પાસેથી છોડાવી આરોપી પ્રકાશ ઓડની ધરપકડ કરીને તેના વિરૂધ્ધમા ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમો મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના સંદર્ભે જંબુસર ડિવિઝનના DYSP પણ વાગરા ખાતે દોડી આવ્યા હતા. અને બનાવ સંદર્ભે પ્રેસકોન્ફોરન્સ યોજી પત્રકારોને કેસની માહિતી આપી હતી.
આ બાબતે વાગરા પીએસઆઈ એ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, કોઇ અન્ય યુવતીઓને કોઈપણ સોશ્યલ મીડીયા સાઇટ ઉપર કોઇ ઇસમ હેરાન પરેશાન કરતા હોય તો તેઓએ સમયસર આ બાબતે પોલીસને જાણ કરવા આહવાન કર્યું હતું. જેથી આવા કોઈ પણ પ્રકારના બનાવો બનતા અટકાવી શકાય છે.
નઈમ દિવાન, વાગરા