દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે વિવિધ ગણેશ મંડળો દ્વારા અલગ અલગ થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના બળેલી ખો યુવક મંડળ દ્વારા અનોખી રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ઇકોફ્રેન્ડલી ગણેશજીની થીમ પર આ યુવક મંડળ દ્વારા રુદ્રાક્ષની મદદથી શ્રીજીની 10 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે. યુવક મંડળ દ્વારા 27 હજાર રુદ્રાક્ષના માધ્યમથી 80 કિલો વજન ધરાવતી મૂર્તિનું નિર્માણ કરાયું છે.
સૌપ્રથમ વાંસની પટ્ટી, કાગળ અને માટીમાંથી સ્ટ્રકચર ઊભું કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેના પર રુદ્રાક્ષ લગાવવામાં આવ્યા હતા. બળેલી ખો યુવક મંડળ દ્વારા છેલ્લા 13 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. 12 વર્ષ પૂર્વે તેઓ દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ લાવવામાં આવી હતી પરંતુ તે ખંડિત થઈ જતા શ્રદ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચી હતી જેના પગલે તેઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. રૂપિયા 18 થી 20 હજારના ખર્ચે શ્રીજીનજ રુદ્રાક્ષની મૂર્તિનું નિર્માણ કરી ભક્તો તેની આરાધનામાં લીન બન્યા છે.