આમોદ તાલુકાના ઇટોલા ગામેથી ખેડૂત ખાતેદાર ઠાકોરભાઈ બાલુભાઈ વસાવા દ્વારા ભરૂચ જીલ્લા કલેકટરને લેન્ડ ગ્રેબિંગની અરજી કરતા આજ રોજ સર્કલ મામલતદાર રાકેશભાઇ ઠાકોર તેમજ ઇન્ચાર્જ તલાટી દ્વારા ઇટોલા ગ્રામ પંચાયત ઉપર પહોચી ખાતેદાર ઠાકોરભાઈ બાલુભાઈ વસાવા તથા અન્ય પ્રતિવાદીઓના નિવેદનો લીધા હતાં.તેમજ સ્થળ ઉપર પહોચી ચકાસણી કરી પંચનામુ સહિતની કામગીરી કરવામાં આવી હતી.
મળતી માહીતી મુજબ આમોદ તાલુકાના ઇટોલા ગામે રહેતાં ઠાકોરભાઈ બાલુભાઈ વસાવા સર્વે નંબર ૫૦૯ ઉપર ખેતીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જે જમીન ઉપર ઇટોલા ગામે રહેતાં તથા આસપાસના ખેડૂત ખાતેદારોએ ઠાકોરભાઈ વસાવાની સર્વે નંબર ૫૦૯ વાળી જમીનમાં ખોદકામ કરી માટી પ્રતિવાદીઓએ તેમનાં ખેતરમાં નાખી હતી.તેમજ કેટલીક માટી ઓ.એન.જી.સી.ને વેચાણથી આપી હતી.આ ઉપરાંત કેટલાક ખાતેદારોએ ઠાકોરભાઈ વસાવાના ખેતરમાં લગાવેલા માપણીના ખૂંટ પણ કાઢી નાખ્યાં હતાં.તેમજ અન્ય એક પાડોશી ખેડુતે તેમના ખેતરમા દબાણ કરી જમીન ખેડાણ કરતા હોય ખેડૂત ખાતેદાર ઠાકોર વસાવાએ ભરૂચ જીલ્લા કલેકટરમાં લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.
સર્કલ મામલતદારે અરજદાર તેમજ પ્રતિવાદીઓના નિવેદનો લઈ પંચનામુ કર્યું :- જે બાબતે આજ રોજ સર્કલ મામલતદાર રાકેશભાઇ ઠાકોર સાથે ઇટોલા ગામના ઇન્ચાર્જ તલાટીએ ઠાકોરભાઈ વસાવા તથા સામેવાળા ખાતેદારોના નિવેદનો લઈ સ્થળ ઉપર પહોચી જગ્યાની ચકાસણી કરી હતી અને પંચનામુ સહિતની કામગીરી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઠાકોરભાઈ વસાવા દ્વારા અગાઉ આમોદ પોલીસ સ્ટેશન,તેમજ ખાણ ખનીજ વિભાગ ઉપરાંત જમીન માપણી અધિકારી સહિતના અધિકારીઓને લેખીત જાણ કરી ન્યાયની માંગણી કરી હતી.
યાસીન દિવાન, આમોદ