ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી વારંવાર અકસ્માતોના બનાવ બનતા હોઇ તાલુકાની જનતા ચિંતિત બની છે.
મૃતક હરિપુરા ગામે રેતીના સ્ટોક પર હિટાચી મશીન ઓપરેટર તરીકે નોકરી કરતો હતો : તાલુકામાં ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર થતા અકસ્માતોમાં ઘણા અકસ્માતોમાં મહામૂલી માનવજીંદગીઓ નંદવાતી હોઇ આવા જીવલેણ અકસ્માતોને લઇને જનતામાં ચિંતા ફેલાઇ છે. ત્યારે સારસા ગામ નજીક એક મોટરસાયકલ ચાલક ઇસમને કોઇ અજાણ્યા વાહનચાલકે અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું. આ અંગે મળતી વિગતો મુજબ મુળ બિહારનો રહીશ મહેશ્વર ઉર્ફે મહેશ વકિલ માંઝી હાલ સારસા નજીકના હરિપુરા ગામ પાસે એક રેતીના સ્ટોક પર હિટાચી મશીનના ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. દરમિયાન મહેશ્વર રાતના જમવાનું લેવા મોટરસાયકલ લઇને રાજપારડી ગયો હતો,ત્યારબાદ તે સમયસર પાછો હરિપુરા ન પહોંચતા તેની સાથે નોકરી કરતો દિનેશ વસાવા તેને શોધવા રાજપારડી ગયો હતો પરંતું તે મળ્યો નહતો. ત્યારબાદ આજરોજ સવારના સાતેક વાગ્યાના સમયે જાણવા મળેલ કે સારસા પાસે થયેલ અકસ્માતમાં એક ઇસમનું મોત થયેલ છે.

આ ખબર મળતા દિનેશ વસાવાએ સારસા રાજપારડી વચ્ચે પુલથી થોડે દુર સ્થળ ઉપર જઇને જોતા તેમની સાથે રહેતો મહેશ્વર ઉર્ફે મહેશ માંઝી મરણ પામેલ હાલતમાં પડેલ હતો.કોઇ અજાણ્યા વાહનચાલકે મહેશ્વરને અડફેટમાં લેતા સર્જાયેલ અકસ્માતમાં તેનું ઘટના સ્થળે મોત થયું હોવાનું જણાતા દિનેશભાઇ ઇશ્વરભાઇ વસાવા હાલ રહે.ગામ હરિપુરા રેતીના સ્ટોક ઉપર તા.ઝઘડિયા અને મુળ રહે.દેવસાકી તા.સાગબારા જિ.નર્મદાનાએ અકસ્માત સર્જી ઘટના સ્થળેથી નાશી ગયેલ અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com