Geo Gujarat News

વાગરા: મારામારીના કેસમાં કોર્ટનો ચુકાદો, બે પૈકી એક આરોપીને 4 વર્ષની સજા સહિત દંડ ફટકારાયો

  • વર્ષ 2020 માં સામંતપોર ગામે મારામારીની ઘટના સર્જાઈ હતી…
  • દહેજ પોલીસ મથકે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો..

 વાગરા કોર્ટે કેસનો ચુકાદો આપ્યો :- વાગરા તાલુકાના સામંતપોર ગામે વર્ષ 2020 માં મારામારી થઈ હતી. જે અંગે દહેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે મારામારીનો કેસ વાગરાનાં મહે.એડી.ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ આર.સી. સોઢા પરમારની કોર્ટમાં ચાલી જતા બને પક્ષોની દલીલોને સાંભળી અંતે ચુકાદો આવ્યો હતો. જેમાં બે પૈકી એક આરોપીને 4 વર્ષની સજા સહિત 3 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક આરોપીને 5 હજાર રૂપિયાના જામીન તથા 6 માસ માટે તેટલીજ રકમના મુચરકા 6 માસ માટે આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

વર્ષ 2020 માં દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી :- બનાવની વિગત એમ છે, કે ગત તારીખ ૦૯/૦૪/૨૦૨૦ ના રોજ વાગરા તાલુકાના સામંતપોર ગામે પ્રજાપતિ ફળીયામાં રહેતા વિષ્ણુ શ્રવણ પરમાર જેઓ પોતાની મોટરસાઇકલ લઈને ગામના પાદરેથી પોતાના ઘરે આવ્યા હતા. અને મોટરસાયકલ પાર્ક કરી રહ્યા હતા. તે વેળાએ રમેશ કાનજી પરમાર તેમજ પાર્થકુમાર બળવંત ગોહિલ જે બંને આરોપીઓ ફરિયાદીને ગમે તેમ ગાળો ભાંડી વાતાવરણ તંગ કરવા લાગ્યા હતા. તેઓને અપશબ્દો ન બોલવાનું કહેવા જતા બંને એકદમ ઉશ્કેરાઈ જય ફરિયાદી વિષ્ણુભાઈ પર તૂટી પડયા હતા. જેમાંથી પાર્થ ગોહિલે લોખંડની પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો. જેથી બૂમાબૂમ થતા ફળીયામાંથી 4 જેટલા ઈસમો છોડાવા માટે દોડી ગયા હતા. ઉશ્કેરાયેલા પાર્થે તેઓને પણ માર માર્યો હતો. તેમજ રમેશ પરમારે પણ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલ લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે ભોગબનનારે દહેજ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જે ફરિયાદની તપાસ કરતા અમલદારે સંપૂર્ણ તપાસ કરી લાગતા વળગતા સાહેદોના નિવેદનો સહિત જરૂરી પુરાવા મળી આવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઇપીકો કલમ-323, 325,504,506 (2), 114 તથા જીપી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બે પૈકી એક આરોપીને દંડ સહિત 4 વર્ષની સજા ફટકારાય :- દહેજ પોલીસે 11 મૌખિક પુરાવા, પંચનામું, સારવાર સર્ટિફિકેટ સહિત 6 દસ્તાવેજી પુરાવા સાથે વાગરા કોર્ટમાં ચાર્ટસીટ રજૂ કરી હતી. જે કેસ વાગરાનાં મહે.એડી.ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ આર.સી સોઢા પરમારની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ જે.જી વસાવાએ પુરાવાઓ સાથે ધારદાર દલીલો પેશ કરી હતી. તેમજ આરોપી તરફે વકીલ જે.એચ કાદરીએ પણ બચાવ પક્ષમાં સામે પક્ષની ઉલટ તપાસ સહિત દલીલો રજૂ કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અંતે આજરોજ તારીખ ૦૭/૧૨/૨૦૨૪ ના રોજ આ કેસનો ચુકાદો આપ્યો હતો. જેમાં બે પૈકી એક આરોપીને કોર્ટે સજાનો હુકમ કર્યો હતો. જેમાં આરોપી પાર્થકુમાર બળવંત ગોહિલને 4 વર્ષની કેદની સજા સહિત રૂપિયા ત્રણ હજારના દંડનો હુકમ કરવામાં આવ્યો હતો. અને જો દંડ ન ભરે તો વધુ 4 માસની સાદી કેદની સજાનો હુકમ કરાયો હતો. તેમજ અન્ય એક આરોપી રમેશ કાનજી પરમારને 5 હજારના જામીન તથા તેટલીજ રકમના જાત મુચરકા 6 માસ માટે આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

નઈમ દિવાન, વાગરા 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *