જિલ્લા કલેક્ટરે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ તેમજ ધોરણ ૯ના ભૂલકાઓને નાંમાકન કરાવીને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી:- સમગ્ર રાજ્યમાં આજથી શિક્ષણના મહાયજ્ઞ એવા ત્રિ – દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫નો ભરૂચ જિલ્લામાં પણ પ્રારંભ થયો છે. જેમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ઝઘડીયા તાલુકાના કપલસાડી ખાતે, અને ઝઘડીયા ખાતે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ તેમજ ધોરણ ૯ના ભૂલકાઓને નાંમાકન કરાવીને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. શિક્ષણના મહાયજ્ઞ સમા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫ અંતર્ગત ગૌરાંગ મકવાણાએ કહ્યું કે, એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારે શાળાપ્રવેશને ઉત્સવ રૂપે ઊજવવાની પહેલ કરી છે.

બાળકના જીવનમાં શાળાનો પ્રથમ દીવસ મહત્વની ઘટના બની રહે છે. પોતાના શૈક્ષણિક સમયને વાગોળીને પોતાના સમયની વ્યવસ્થાઓ સાથે આજની સુવિધાઓની સરખાણી કરી સરકારની સિધ્ધીઓથી સૌને અવગત કરાવ્યા હતા. બાળકોને નાનપણથી જ શિક્ષણની સાથે ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તેવા પ્રયાસો કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો. બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ પ્રાપ્ત થાય તે અગત્યનું છે. અને આ ગુણવત્તાસભર શિક્ષણ આપવું એ આપણા સૌની નૈતિક જવાબદારી છે.

આ તકે, આજે શાળા પ્રવેશોત્સવ દરમિયાન દીકરીઓએ મહિલા સશક્તિકરણ સહિતના વિષયો પર પોતાના આત્મવિશ્વાસ સાથે જે રીતે રજૂઆત કરી છે, તે કન્યા કેળવણી ક્ષેત્રે કેવું પરિવર્તન આવ્યું છે તેનું દ્યોતક છે. સાથે બાળકો માતા-પિતાને ટ્રાફિકના નિયમો વિશે સમજ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી શકે તે માટે ટ્રાફિક નિયમોના પાલન અંગે સૌએ શપથ લીધા હતા.

આ અવસરે મહાનુભાવોના હસ્તે CET તથા NMMS જેવી વિવિધ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર અને ખેલમહાકુંભ સહિત રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તબક્કે, કલેક્ટરશ્રીએ શાળા પરિસરની મુલાકાત કરી હતી તેમજ એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક કરી હતી.

આ તકે, ગામના સરપંચ, મામલતદાર એમ.કે.રાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ગામના અગ્રણીઓ, દાતાઓ અને એસ.એમ.સીના સભ્યો સહિત શાળાના શિક્ષકો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com