આમોદ વિસ્તારમાં અતિ ગંભીર માર્ગને કારણે વાહન ચાલકો અને સ્થાનિકો ભયભીત બન્યા છે. ભરૂચ-જંબુસરને જોડતો હાઇવે નંબર ૬૪ અત્યંત ખખડધજ બનતા તાજેતરમાંજ આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જોકે તે બાદ પણ સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે. આમોદ મેઈન ચોકડીથી લઇ સમાં ચોકડી સુધીનો માર્ગ એટલી હદે બિસ્માર બન્યો છે, કે અહીંયાંથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું છે. થોડા સમય પહેલા કોંગ્રેસ દ્વારા ખાડામાં બેસી ઉગ્ર પ્રદર્શન કરવામાં આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. પરંતુ માત્ર દેખાવ પૂરતીજ કામગીરી કરી હોય તેમ ફરી આ માર્ગ ભયજનક બન્યો છે. ચોમાસા પહેલા આ માર્ગ ધૂળની ડમરીથી ઘેરાયેલો હતો.
જે હવે કાદવ-કિચડમાં ફેરવાયો છે. અહીંયાંથી પસાર થતા વાહન ચાલકો તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં કેટલાક વાહન ચાલકો તેમજ રાહદારીઓ રોષ ઠાલવી રહ્યા છે. અમે આ પ્લેટફોર્મ ઉપર એ શબ્દો લખી પણ નથી શકતા. જે અહીંયાંથી પસાર થતા લોકો બોલી રહ્યા છે. અહીંયા અવાર-નવાર વાહનો ફસાવવાની પણ ઘટના બનતી રહે છે. જેને કાઢવામાં વાહન માલિકોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવે છે. તદુપરાંત જિલ્લાના મુખ્ય મથકને જોડતો આ મુખ્ય માર્ગ હોય, વધુમાં કાઠિયાવાડથી ભરૂચ જિલ્લાની વિવિધ GIDC માં આવવા જવા માટે ટ્રાન્સપોર્ટના વાહનો પણ આજ માર્ગનો ઉપયોગ કરતા હોય છે. તે તમામ વાહન ચાલકો તંત્રના પાપે હાલાકી ભોગવી રહ્યા છે. ગતરોજ આમોદથી એક પ્રસુતાને લઈ જંબુસર હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહી હતી. માર્ગ એટલો બિસ્માર બન્યો છે. કે રસ્તામાંજ પ્રસુતિ થઈ ગઈ હતી.
ખરાબ રોડ રસ્તાથી ત્રસ્ત અનેક વાહનચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે :- નેશનલ હાઇવે નંબર ૬૪ આમોદ નજીક અતિ બિસ્માર બનવાને કારણે પ્રજાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખરાબ રોડ રસ્તાથી ત્રસ્ત અનેક વાહનચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. સૌનો સાથ સૌનો વિકાસના શુભ આશય સાથે વિકાસની હરણફાળ ભરતી સરકારના રાજમાં ચાલતી લાલિયાવાડીનો નમૂનો પ્રથમ વરસાદ બાદ બહાર આવ્યો છે. સમગ્ર રાજ્યમાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવા સહિત રોડ-રસ્તા બિસ્માર બન્યા છે, ત્યારે કેટલાક જિલ્લાઓમાં સ્થાનિક તંત્ર દ્વારા બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. તો બીજી તરફ આમોદમાં ખરાબ રોડ-રસ્તાના કારણે પ્રજા હેરાન પરેશાન થઈ ઉઠી છે.
આમોદ ચોકડીથી લઇને સમાં ચોકડી સુધીનો સંપૂર્ણ માર્ગ વરસાદમાં ધોવાઈ જતાં અનેક વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, ત્યારે પાયાની સુવિધાઓ બાબતે તંત્ર બેદરકાર હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે. વિકાસના નામે ચાલતી સરકાર લોક સુખાકારીની કામગીરી પર પાણીનું નામ ભુ સાબીત કરતી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યુ છે, ત્યારે હાલ તો તંત્ર દ્વારા બિસ્માર માર્ગનું વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com