Geo Gujarat News

ભરૂચના TDO નરેશ લાડુમોરને RTI ભંગ બદલ ફરી 5,000નો દંડ ફટકારાયો, અધિકારીએ બેદરકારીની હદ વટાવી?

માહિતી અધિકાર અધિનિયમ (RTI) હેઠળ નાગરિકોને સમયસર માહિતી પૂરી પાડવામાં વારંવાર નિષ્ફળ રહેવા બદલ ભરૂચના તાલુકા વિકાસ અધિકારી (TDO) નરેશ લાડુમોરને રાજ્ય માહિતી આયોગે ફરી એકવાર રૂપિયા 5,000નો દંડ ફટકાર્યો છે. આ ઘટના સરકારી બાબુઓની બેદરકારી અને RTI કાયદા પ્રત્યેની તેમની ઉદાસીનતાનો વધુ એક જીવંત દાખલો પૂરો પાડે છે. પ્રાપ્ત વિગતો અનુસાર, એક જાગૃત નાગરિકે RTI હેઠળ કેટલીક ચોક્કસ માહિતીની માંગણી કરી હતી. જોકે, TDO નરેશ લાડુમોર દ્વારા નિયત સમયમર્યાદામાં આ માહિતી પૂરી પાડવામાં આવી ન હતી.


TDO નરેશ લાડુમોર RTI ભંગ બદલ ફરી દંડાયા: પારદર્શિતા માત્ર કાગળ પર? : અરજદારની ફરિયાદને પગલે માહિતી આયોગે આ મામલે કડક વલણ અપનાવી, લાડુમોરને દંડ ફટકારવાનો આદેશ કર્યો છે. આશ્ચર્યજનક અને ચિંતાજનક બાબત એ છે, કે નરેશ લાડુમોર સામે RTI ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભૂતકાળમાં જ્યારે તેઓ આમોદના TDO તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે પણ તેમને સમયસર માહિતી ન આપવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. એક જ અધિકારી દ્વારા વારંવાર આવી ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોવાથી તેમની કાર્યશૈલી અને જવાબદારી પ્રત્યેની ગંભીરતા પર પ્રશ્નાર્થ સર્જાય છે.

RTIને ઠેંગો, લોકશાહી મૂલ્યોનું ઉલ્લંઘન!, શું કાયદાનું કોઈ મૂલ્ય નથી? : RTI એ ભારતીય લોકશાહીમાં નાગરિકોને સત્તાધારીઓ પાસેથી પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટેનું એક અત્યંત શક્તિશાળી સાધન છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કામકાજમાં ગુપ્તતાને દૂર કરી, નાગરિકોને જાણવાનો અધિકાર આપવાનો છે. આવા સંવેદનશીલ કાયદાનું સરકારી અધિકારીઓ દ્વારા પાલન ન કરવું એ માત્ર બેદરકારી નથી, પરંતુ લોકશાહી મૂલ્યો અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું ખુલ્લું ઉલ્લંઘન છે.

અધિકારીએ બેદરકારીની હદ વટાવી? : આ પ્રકારના કિસ્સાઓ સરકારી તંત્રમાં પ્રવર્તતી બેદરકારી અને કાયદા પ્રત્યેના અનાદરને ઉજાગર કરે છે. આવા અધિકારીઓ સામે માત્ર દંડ ફટકારવાથી નહીં, પરંતુ વધુ કડક વહીવટી કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે. ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય અને નાગરિકોને સમયસર માહિતી મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લેવી પડશે. શું સરકાર આવા બેદરકાર અધિકારીઓ સામે માત્ર દંડ ફટકારીને સંતોષ માનશે, કે પછી તેમને જવાબદાર ઠેરવીને કડક પગલાં લેશે? આ સવાલ હાલ નાગરિકોના મનમાં ઘુમરાઈ રહ્યો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *