ભરૂચ શહેરના મકતમપુર સૈયદવાડ વિસ્તારમાં અચાનક એક વિશાળ અજગર દેખાતા સ્થાનિકોમાં ભય અને કુતૂહલનો માહોલ ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને પરિસ્થિતિને જોતા તાત્કાલિક નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. માહિતી મળતા જ ટ્રસ્ટના જીવદયા પ્રેમી યોગેશ મિસ્ત્રી અને તેમની ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી.
વન વિભાગના આરએફઓના માર્ગદર્શન હેઠળ, ટીમે અત્યંત સાવધાનીપૂર્વક અને સલામત રીતે અજગરને પકડવાની કામગીરી હાથ ધરી હતી. લાંબી અને કાળજીપૂર્વકની કાર્યવાહી બાદ અજગરને સફળતાપૂર્વક પકડી લેવામાં આવ્યો હતો. રેસ્ક્યુ બાદ અજગરને તેના કુદરતી વસવાટમાં સલામત રીતે છોડી મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરીને લઈને સ્થાનિક રહીશોએ જીવદયા પ્રેમીઓ અને વન વિભાગના અધિકારીઓની કામગીરીની ખૂબ પ્રશંસા કરી હતી. આ ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે માનવીય વસવાટમાં વન્યજીવોના પ્રવેશ સમયે સાવચેતી અને યોગ્ય વ્યવસ્થાપન કેટલું મહત્વનું છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com