આમોદ નગરમાં છેલ્લા ત્રણ દિવસમાં પડેલા માત્ર અઢી ઇંચ વરસાદથી જ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદી પાણી ભરાવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભારે હાલાકી સર્જાઈ છે, જેનાથી આમોદ પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે.
જલારામ નગરમાં જળબંબાકાર, ધારાસભ્યએ લીધી મુલાકાત : આમોદના જલારામ નગરમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતાં ધારાસભ્ય ડી.કે. સ્વામી, મામલતદાર મયુર વરીયા, પાલિકા પ્રમુખ અને સદસ્યોએ તાત્કાલિક સ્થળની મુલાકાત લીધી હતી. ધારાસભ્યએ રહીશોની ફરિયાદો સાંભળી અને તંત્રને તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે પાલિકા દ્વારા માત્ર દેખાવ પૂરતી જ કામગીરી કરવામાં આવી હતી, જેના પરિણામે નાનકડા વરસાદમાં પણ કપરી પરિસ્થિતિ સર્જાઈ છે.
પુરસા-કાંકરિયા રોડ પર પાણી ભરાતા સંપર્ક તૂટ્યો : આમોદ નગર ઉપરાંત તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદે હાલાકી વધારી છે. પુરસા-કાંકરિયા રોડ પર પાણી ભરાઈ જવાથી આ બંને ગામોનો સંપર્ક તૂટી ગયો હતો, જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. આ ઉપરાંત, કાંકરિયા ગામ પાસે આવેલી આઇ.ટી.આઇ.માં પણ પાણી ભરાઈ જવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી હતી. આ પરિસ્થિતિએ સ્થાનિક તંત્રની નિષ્ફળતાને વધુ સ્પષ્ટ કરી છે.
પાણીના નિકાલ મુદ્દે બે ગામો વચ્ચે તણાવ : વરસાદી પાણીના નિકાલને લઈને આમોદના જલારામ નગર અને ભીમપુરા ગામના લોકો વચ્ચે તણાવ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ભીમપુરા ગામના લોકોએ મેટલ નાખીને પાણીનો નિકાલ માર્ગ બંધ કરી દીધો હતો, જેના કારણે આ વર્ષે પણ બંને ગામો વચ્ચે પરિસ્થિતિ વણસી હતી. આ મુદ્દાને ઉકેલવા માટે મામલતદાર મયુર વરીયાએ આમોદ પાલિકાના અધિકારીઓ અને ભીમપુરાના તલાટી સાથે બેઠક યોજી હતી અને સ્થળની મુલાકાત લઈને યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના દર્શાવે છે કે આમોદમાં પ્રિ-મોન્સૂન કામગીરીનું આયોજન યોગ્ય રીતે થયું નથી, અને જો આગામી સમયમાં વધુ વરસાદ આવશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com