Geo Gujarat News

ભરૂચ: શ્રવણ ચોકડીથી શક્તિનાથ માર્ગ પરથી દબાણો અને આડેધડ પાર્કિંગ દૂર કરાયા, દબાણકારોમાં ફફડાટ

ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સવારે શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફના મુખ્ય માર્ગ પરથી ગેરકાયદે દબાણો હટાવવાની મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ અચાનક કાર્યવાહીથી દબાણકારોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદે દબાણો, આડેધડ પાર્કિંગ અને રસ્તા પરના ખાડાઓને કારણે ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે, જેનાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે, શુક્રવારે વહેલી સવારે ભરૂચ જિલ્લા પ્રાંત અધિકારી મનીષા મનાણી, મામલદાર માધવી મિસ્ત્રી, પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, અને બૌડા, આરએનબી, જીએસઆરડીસીના અધિકારીઓની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેદાનમાં ઉતરી હતી.ટીમે શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફના માર્ગ પર બંને બાજુના ગેરકાયદેસર દબાણોને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. આ કાર્યવાહીને કારણે ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. દબાણો હટાવવાની સાથે, રસ્તા પર ગમે ત્યાં પાર્ક કરેલા વાહનોને પણ પોલીસે જપ્ત કર્યા હતા. જિલ્લા વહીવટી તંત્રની આ કડક કાર્યવાહીથી ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલની આશા બંધાઈ છે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. આ કામગીરીથી દબાણકારોમાં ગભરાટ ફેલાયો છે અને શહેરના ટ્રાફિકને સુચારુ બનાવવા માટે આ એક સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *