Geo Gujarat News

ભરૂચ: કંથારિયા ખાતે ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર, ૫૦ થી વધુ બાંધકામો પોલીસ બંદોબસ્ત વચ્ચે ધ્વસ્ત કરાયા

ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીના ભાગરૂપે કંથારિયામાં દારૂલ ઉલુમની સામે આવેલા અંદાજે ૫૦થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. આ મેગા ડિમોલેશનથી દબાણકારોમાં ભારે દોડધામ મચી ગઈ છે અને તંત્રના આ કડક વલણની ચર્ચા સમગ્ર જિલ્લામાં થઈ રહી છે. આ ડિમોલેશનની કામગીરી સુનિયોજિત રીતે પાર પાડવામાં આવી હતી. જેમાં મામલતદાર, પ્રાંત અધિકારી, ભરૂચ-અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને PWD વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ તમામ વિભાગોના સંકલનથી ગેરકાયદેસર બાંધકામોની ઓળખ કરીને તેને કાયદાકીય પ્રક્રિયા હેઠળ દૂર કરવામાં આવ્યા હતા. જે દર્શાવે છે કે તંત્ર હવે દબાણો પ્રત્યે કોઈ પણ પ્રકારની નરમાઈ રાખવા તૈયાર નથી.કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડિમોલેશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કરવામાં આવી હતી. આ પગલાથી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં તંત્ર સફળ રહ્યું છે. વર્ષોથી ઊભા થયેલા આ ગેરકાયદેસર બાંધકામો પર તંત્રએ આખરે જેસીબી ફેરવી દીધું. આ કાર્યવાહી સ્પષ્ટ સંદેશ આપે છે કે ભવિષ્યમાં આવા કોઈ પણ ગેરકાયદેસર બાંધકામને ચલાવી લેવામાં આવશે નહીં. તંત્રની આ કડકતા દર્શાવે છે કે સરકાર હવે જમીન પચાવી પાડતા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે.ભરૂચ જિલ્લામાં હાલ અનેક સ્થળોએ આ પ્રકારની ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, જે દર્શાવે છે કે તંત્ર હવે ગેરકાયદેસર દબાણોને જડમૂળથી નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ કાર્યવાહીથી ભવિષ્યમાં આવા દબાણો ઊભા કરતા પહેલા લોકોએ વિચારવું પડશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *