ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના રહીયાદ ગામમાં તાજેતરમાં SRF ફાઉન્ડેશન થકી ચાલતી સ્વાસ્થ્ય સેવા દ્વારા કુપોષણ મુક્ત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ ગામની મહિલાઓ અને બાળકોમાં પોષણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. SRF ફાઉન્ડેશનમાંથી ખાસ ઉપસ્થિત રહેલા નિષ્ણાતો કુસુમ રાહી, પ્રગતિ ગોયલ, ડોક્ટર નીલુ પટેલ, અને ઝાકીરભાઈ દ્વારા સઘન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે સભાને સંબોધતા કુપોષણના કારણો, તેનાથી થતી અસરો અને સૌથી મહત્ત્વનું, તેનાથી મુક્ત થવા માટેના ઉપાયો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન બાળકો અને માતાઓ દ્વારા કેવા પ્રકારના પૌષ્ટિક આહારનો ઉપયોગ કરવો જોઈએ તેની વ્યવહારિક માહિતી આપવામાં આવી હતી. નિષ્ણાતોએ સ્થાનિક સ્તરે સરળતાથી ઉપલબ્ધ સસ્તા અને પૌષ્ટિક ખાદ્ય પદાર્થોને આહારમાં સામેલ કરવા પર ભાર મૂક્યો હતો. યોગ્ય આહાર દ્વારા માતા અને બાળકના સ્વાસ્થ્યને કેવી રીતે સુધારી શકાય તે અંગેની સમજણ પૂરી પાડવામાં આવી હતી. આ સમગ્ર જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન પરમાર તરંગ અને રહીયાદ ગામની આંગણવાડી કાર્યકર્તા શકુંબેન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. તેમના પ્રયાસો થકી મોટી સંખ્યામાં ગામની મહિલાઓ તથા બાળાઓએ આ કાર્યક્રમનો ઉત્સાહભેર લાભ લીધો હતો અને પોષણ અંગેની મૂલ્યવાન માહિતી મેળવી હતી. આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો થકી ગ્રામ્ય સ્તરે સ્વાસ્થ્ય અને પોષણના સ્તરમાં સુધારો લાવવાના SRF ફાઉન્ડેશનના પ્રયાસો પ્રશંસનીય છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com