ભરૂચ,
રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ના રચનાના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભરૂચ જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઐતિહાસિક પ્રસંગે, સરકારી કચેરીઓના કામકાજનો સમય સવારે ૧૦:૩૦ થી ૬:૧૦ના બદલે સવારે ૯:૩૦ થી ૫:૧૦ સુધીનો રાખવામાં આવ્યો હતો.
તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રગાન સાથે ‘વંદે માતરમ’નું સમૂહ ગાન કર્યું હતું અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગની શપથ લીધી હતી.
જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ મહેન્દ્ર વાસદીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ સહિત મોટી સંખ્યામાં પંચાયતના સભ્યો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
વર્ષ ૧૮૭૫માં રચાયેલું ‘વંદે માતરમ’ ગીત દેશભક્તિનું પ્રતીક રહ્યું છે, અને તેના ૧૫૦ વર્ષની ઉજવણી થકી સમગ્ર જિલ્લામાં રાષ્ટ્રીય ચેતનાનો માહોલ સર્જાયો હતો.