વાગરાના અસમાં પાર્ક.3 સ્થિત જુંજેરા વિદ્યાલયમાં તાજેતરમાં DGVCL દ્વારા ઊર્જા સંરક્ષણના ઉમદા હેતુથી ધોરણ ૮ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં વીજળી બચાવવા પ્રત્યે સભાનતા કેળવવાનો અને આ સંદેશ દરેક ઘર સુધી પહોંચાડવાનો હતો. જો આપણે વીજળી બચાવવાની શરૂઆત વ્યક્તિગત સ્તરેથી કરીશું, તો જ તે ભવિષ્યની પેઢી માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવો સચોટ સંદેશ આ કાર્યક્રમ દ્વારા વહેતો કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે DGVCL વાગરાના એ. આર. તિવારી (D.E.) ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મનોજભાઈ પઢીયાર (LI), સકીલભાઈ (સિનિયર ક્લાર્ક-HR), પટેલ ઉસ્માનભાઈ (જુનિયર આસિસ્ટન્ટ), સંજયભાઈ રાઠોડ (ઇલે. આસિસ્ટન્ટ) અને દિલીપભાઈ રાઠવા (ઇલે. આસિસ્ટન્ટ) જેવા મહાનુભાવોએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આયોજિત કાર્યક્રમની સૌથી આકર્ષક બાબત એ રહી કે, સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાઈવ ઇનામ વિતરણ કરી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. સ્પર્ધા દરમિયાન બાળકોએ ખૂબ જ અસરકારક રીતે સમજાવ્યું હતું કે, જ્યારે જરૂર ન હોય ત્યારે ઘર કે શાળામાં લાઈટ, પંખા, ટીવી કે અન્ય વીજ ઉપકરણોની સ્વિચ બંધ રાખીને આપણે કેવી રીતે ઊર્જા બચાવી શકીએ છીએ. કાર્યક્રમના અંતે જુંજેરા શાળાના ટ્રસ્ટી, આચાર્ય અને સમગ્ર શિક્ષકગણે DGVCL સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આશા વ્યક્ત કરવામાં આવી હતી કે, આવા સાર્થક પ્રયાસોથી આવનારા સમયમાં અનેક પરિવારો અને શાળાઓ વીજળી બચાવવા માટે જાગૃત બનશે.
શિક્ષણ અને સંસ્કારનું સંગમસ્થાન એટલે જુંજેરા વિદ્યાલય : જુંજેરા વિદ્યાલય માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતું સીમિત ન રહેતા, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહીને સમાજમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળા દ્વારા સમયાંતરે આયોજિત થતા જનજાગૃતિના અવનવા કાર્યક્રમો, શૈક્ષણિક સ્પર્ધા ઓ અને સામાજિક ઉત્તરદાયિત્વના કાર્યોએ વાલીઓ અને સ્થાનિક લોકોના દિલ જીતી લીધા છે. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે શાળા જે રીતે મંચ પૂરું પાડે છે, તેનાથી શિક્ષણ જગતમાં આ સંસ્થાએ એક અલગ જ છાપ ઊભી કરી છે. લોકભોગ્ય અભિગમ અને શ્રેષ્ઠ સંચાલનને કારણે જ આજે આ શાળા પ્રત્યેક નાગરિક માટે આદર અને ગૌરવનું કેન્દ્ર બની છે.
સંકલ્પબદ્ધ યુવા પેઢી, વીજળી બચાવવાનો મહામંત્ર : ઉક્ત કાર્યક્રમ દરમિયાન DGVCLના અધિકારીઓ અને કર્મચારીઓએ વિદ્યાર્થીઓને માત્ર જ્ઞાન જ નહીં, પરંતુ સામાજિક જવાબદારીનું પણ સિંચન કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, વીજળી બચાવવી એ માત્ર કાગળ પરનો વિષય નથી, પરંતુ જીવનશૈલીનો એક ભાગ છે. આ તકે શાળાના તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક એવો સંકલ્પ લીધો હતો કે તેઓ પોતે તો વીજળીનો કરકસરયુક્ત ઉપયોગ કરશે જ પણ સાથે-સાથે પોતાના પરિવારજનો અને મિત્ર વર્તુળમાં પણ આ સંદેશ પહોંચાડી તેનો અમલ કરાવશે. અધિકારીઓએ સમજાવ્યું હતું કે નાનકડો સંકલ્પ પણ ભવિષ્યમાં મોટી ઊર્જા ક્રાંતિ લાવી શકે છે. આમ જુંજેરા વિદ્યાલયના આંગણેથી શરૂ થયેલો આ ઊર્જા બચાવવાનો સંકલ્પ દરેક ઘર સુધી પહોંચીને રાષ્ટ્રહિતમાં સહભાગી બનશે તેવી અતૂટ શ્રદ્ધા આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવી હતી.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com