આમોદમાં પોષી પૂનમ એટલે કે બહુચરાજી માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે પૌરાણિક બહુચરાજી મંદિરે સાંજે ચાર કલાકે માતાજીનો હવન તથા મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આમોદના ડૉ.મનુભાઈ પારેખ તથા તેમના ધર્મપત્નીએ માતાજીના હવનનો લાભ લઈ આશીર્વાદ લીધા હતા.
અંજનામાસી તથા અન્ય માસીબાના હસ્તે કેક કાપી માતાજીના પ્રાગટ્ય દિવસની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.માતાજીના હવનમાં માઇ ભકતોએ મોટી સંખ્યામાં હાજર રહી યજ્ઞમાં શ્રીફળ હોમી આહુતિ આપી હતી અને શ્રીફળ હોમાયા બાદ માઇભક્તોએ માતાજીની આરતીનો લાભ લીધો હતો.આરતી બાદ માતાજીના પ્રાંગણમાં અંજનામાસી તથા અન્ય માસીબા દ્વારા બહુચર માતાજીના ગરબા રમી માતાજીની આરાધના કરી હતી.
બહુચર માતાજીના મંદિરે ધારાસભ્ય ડી.કે.સ્વામીની ગ્રાન્ટ માંથી મંદિરે શેડ બનાવવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય ડી કે.સ્વામીએ રીબીન કાપી પ્રસંગને દીપાવ્યો હતો.
તેમની સાથે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ,પૂર્વ મહામંત્રી ભીખાભાઈ લીંબચીયા, પાલિકા સદસ્ય અક્ષર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આમોદ નગરની ધર્મપ્રેમી જનતા તથા ટ્રસ્ટીઓના સહયોગથી બહુચરાજી મંદિરે છેલ્લા ૧૪ વર્ષથી હવન તથા મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023