જંબુસર તાલુકાના મંગણાદ ગામે આજે વહેલી સવારે નીલગાયની અડફેટે એક બાઇક સવારનું કરુણ મોત નિપજ્યું હતું. સવારે આશરે 6:30 કલાકે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિજયભાઈ ખુમાનસંગ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક રોડ પર નીલગાય આવી ચઢી હતી. નીલગાય સાથે અથડાયા બાદ બાઇક સવાર વિજયભાઈનો સંતુલન ગુમાવ્યો હતો અને તે સમયે રોડ પરથી પસાર થઈ રહેલી એક ફોર વ્હીલર સાથે તેમની અથડામણ થઈ હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં વિજયભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા જંબુસરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે જંબુસર તાલુકામાં નીલગાયના કારણે થતા માર્ગ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે, છતાં યોગ્ય અટકાયતના પગલાં ન લેવાતા હોવાનો રોષ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે. ઘટનાને લઈ જંબુસર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023