કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં ચાલી રહેલી મતદાર યાદીની સઘન સુધારણા પ્રક્રિયા SIR અંતર્ગત મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ-2025 અમલમાં મુકવામાં આવ્યો છે. આ ઝુંબેશના ભાગરૂપે આજે વાગરા મામલતદાર કચેરી ખાતે નોટિસ પ્રાપ્ત થયેલા મતદારોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન જેમણે અગાઉ જરૂરી દસ્તાવેજી પુરાવા રજૂ ન કર્યા હતા, તેવા મતદારોને ચૂંટણી પંચ દ્વારા નોટિસ પાઠવી પોતાના વાંધા અને આધારરૂપ પુરાવા રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને મોટી સંખ્યામાં મતદારો મામલતદાર કચેરી ખાતે હાજર રહ્યા હતા અને પોતાના દસ્તાવેજો રજૂ કરી ચૂંટણી પ્રક્રિયામાં સહકાર આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વાગરા તાલુકામાં કુલ 4,300 જેટલા મતદારો એવા છે જેમણે હજુ સુધી કોઈ પુરાવા રજૂ કર્યા નથી. ચૂંટણી તંત્ર દ્વારા દરરોજ સરેરાશ 150 જેટલા મતદારોને નોટિસ આપી પુરાવા સાથે મામલતદાર કચેરી ખાતે હાજર રહેવા બોલાવવામાં આવી રહ્યા છે, જેથી પ્રક્રિયા સમયસર અને સુચારુ રીતે પૂર્ણ કરી શકાય. મતદાર યાદીની પારદર્શિતા, ચોકસાઈ અને વિશ્વસનીયતા જાળવવા માટે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીને મતદારોનો સકારાત્મક પ્રતિસાદ મળતો જોવા મળી રહ્યો છે, જે લોકશાહી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવે છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com