ભારતના ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા SIR-2026 કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ અને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક ચૂંટણી આયોગના સ્પેશિયલ રોલ ઓબ્ઝર્વર સુ.શ્રી ઐશ્વર્યા સિંઘ (IAS), સંયુક્ત સચિવ – જલ શક્તિ મંત્રાલય, ભારત સરકારની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી, તમામ મતદાર નોંધણી અધિકારીઓ તેમજ જિલ્લાના માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
રોલ ઓબ્ઝર્વરએ SIR-2026 અંતર્ગત જિલ્લામાં ચાલી રહેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. આ દરમિયાન મેપિંગ, ડિજિટાઈઝેશન, ફોર્મ કલેક્શન, નો-મેપીંગ નોટીસની સુનાવણી તેમજ સ્પેશિયલ કેમ્પ અંગેના રિપોર્ટનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન રોલ ઓબ્ઝર્વરએ સ્પષ્ટ સૂચના આપી હતી કે કોઈપણ લાયક મતદાર મતદાર યાદીમાંથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકાઓનું કડક પાલન કરીને કામગીરી કરવી જરૂરી છે. સાથે જ કામગીરીની ગતિ અને પારદર્શિતા જાળવવા પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. આ ઉપરાંત રોલ ઓબ્ઝર્વરએ ભરૂચ ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે ચાલી રહેલી નો-મેપીંગ નોટીસ સુનાવણી સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. ત્યાં હાજર મતદારો તેમજ વધારાના મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે સંવાદ સાધી સુનાવણી પ્રક્રિયાનો પ્રત્યક્ષ તાગ મેળવ્યો હતો.
બેઠકમાં જિલ્લાના તમામ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પાસેથી પ્રતિભાવ પણ મેળવવામાં આવ્યા હતા. વિવિધ પક્ષોના પ્રતિનિધિઓએ અત્યાર સુધીની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને હાલ ચાલી રહેલી સુનાવણી બાબતે પોતાના સૂચનો રજૂ કર્યા હતા. સાથે જ બાકી રહેલી નો-મેપીંગ નોટીસની સુનાવણી ઝડપી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્રને પૂરતો સહકાર આપવાની હૈયાધારણ પણ આપી હતી. આ બેઠકથી SIR-2026 અંતર્ગત ભરૂચ જિલ્લામાં મતદાર યાદીની ચોકસાઈ, પારદર્શિતા અને વિશ્વસનીયતા વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023