અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં આજે સાંજના સમયે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ખાંભા ગીરના ઇંગોરાળા, નાના વિસાવદર, નાની ધારી, અનીડા સહિતના ગામોમાં ભૂકંપના આંચકાથી લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર, સાંજના 7.16 મિનિટે 1.9 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર અમરેલીથી આશરે 41 કિલોમીટર દૂર હોવાનું જણાવાયું છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. તેમ છતાં અચાનક આવેલા આંચકાથી ગ્રામજનો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. સિસ્મોલોજી વિભાગ ગાંધીનગર દ્વારા ભૂકંપના આંચકાની સત્તાવાર પુષ્ટી કરવામાં આવી છે. તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હોવાનું પણ જણાવાયું છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com