શિક્ષણના વધતા જતા તણાવ વચ્ચે મોરબીમાં એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. શહેરના રવાપર ઘૂનડા રોડ પર આવેલા કસોરા 11 નામના હાઈરાઈઝ એપાર્ટમેન્ટમાં રહેતી એક 16 વર્ષીય સગીરાએ વહેલી સવારે બિલ્ડિંગના 11મા માળેથી પડતું મૂકીને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. 11મા માળેથી નીચે પટકાતા સગીરાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ મોરબી એ-ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. તપાસ અધિકારી વિપુલ ફુલતરિયાની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે મૃતક સગીરા છેલ્લા કેટલાક સમયથી અભ્યાસના ભારણને કારણે માનસિક તણાવમાં હતી. સતત રહેતા ભણતરના ટેન્શનમાં જ તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે.

પોલીસે સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હાલમાં એ-ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વહેલી સવારે બનેલી આ ઘટનાથી એપાર્ટમેન્ટના રહીશો અને સમગ્ર મોરબી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com