અંકલેશ્વરના ગડખોલ ગામ પાસે આવેલા ઐયપ્પા મંદિર નજીક આજે વહીવટી તંત્રની બેદરકારીના કારણે વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. ઉકાઈ જમણા કાંઠા નહેરના મજબૂતીકરણની કામગીરી દરમિયાન અચાનક પીવાના પાણીની મુખ્ય લાઈન ફાટતા હજારો લીટર પાણી રોડ પર ફરી વળ્યું હતું. કેનાલની ખોદકામ કરેલી માટીમાં આ પાણી ભળતા આશરે 100 મીટરનો મુખ્ય માર્ગ કીચડના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયો હતો. રસ્તા પર ફેલાયેલા લપસણા કીચડના કારણે અચાનક વાહનો સ્લીપ થવાનો સિલસિલો શરૂ થયો હતો. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, માત્ર દોઢ કલાકના ટૂંકા ગાળામાં જ 25થી વધુ બાઈક અને રીક્ષા ચાલકો અહીં લપસી પડ્યા હતા. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ અનેક વાહનચાલકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
કામગીરીના સ્થળે યોગ્ય સાવચેતી ન રખાતા રોડ ડેન્જર ઝોન સમાન બની ગયો હતો. કેનાલના કામ માટે કાઢવામાં આવેલી માટી યોગ્ય રીતે ખસેડવાને બદલે ત્યાં જ રખાતા આ સમસ્યા સર્જાઈ હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. વારંવાર બનતા અકસ્માતોને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાહદારીઓએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે રસ્તાની સફાઈ કરવા અને પાણીની લાઈનનું સમારકામ કરવાની માંગ કરી છે જેથી વધુ અકસ્માતો અટકાવી શકાય.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com