ભરૂચમાં ચૂંટણીલક્ષી પ્રક્રિયાને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. મતદાર યાદી સુધારણા (SIR) ઝુંબેશમાં મોટાપાયે વોટ ચોરી થઈ હોવાના ગંભીર આરોપો સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આવેદનપત્ર આપવા માટે ગયેલા નેતાઓ અને પોલીસ બળ વચ્ચે કચેરીના પ્રવેશદ્વાર પર જ તીખી નોકઝોંક અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાતા કલેક્ટર કચેરી પરિસર રણમેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.
જિલ્લા પ્રભારી મનહર પરમાર અને પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાનીમાં કોંગ્રેસે એવો સનસનીખેજ આક્ષેપ કર્યો છે કે, સત્તાધારી ભાજપના દબાણ હેઠળ વહીવટી તંત્રએ પક્ષપાતી વલણ અપનાવી જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પરથી અંદાજે ૯૦ હજાર જેટલા ચોક્કસ સમુદાયના મતદારોના નામ કાઢી નાખ્યા છે. આ અન્યાય સામે કાર્યકરોએ કચેરી બહાર જ ધરણા યોજી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આખરે, ઇન્ચાર્જ નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તાત્કાલિક ધોરણે નામો પુનઃ ઉમેરવામાં નહીં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com