દેશના ૭૭મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વાગરા તાલુકાની વછનાદ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં દેશભક્તિના માહોલ વચ્ચે શાનદાર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, શાળાના વિદ્યાર્થીઓએ પ્રજાસત્તાક પર્વના મહત્વ પર પ્રભાવશાળી ઉદબોધનો રજૂ કરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ગરિમાપૂર્ણ અવસરે શાળામાં અભ્યાસ, મૂલ્ય આધારિત શિક્ષણ અને વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પંચાલ ઝરણા જીગ્નેશકુમાર તથા સિંધા હરદેવસિંહ રાજેન્દ્રસિંહને ગામના અગ્રણી શ્રી પ્રવિણસિંહજી ચૌહાણ તેમજ તલાટી મંત્રી અંકુરભાઈના હસ્તે પારિતોષિક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
શાળાના આચાર્ય મનોજભાઈ કથીરિયાએ પોતાના સંબોધનમાં શાળામાં ચાલતી વિવિધ શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિઓની ઝાંખી કરાવી હતી. આ સાથે જ, શાળાના વિકાસમાં આર્થિક અને સાધન સહાય પૂરી પાડનાર ઉદાર દાતાઓનું પણ શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ રાષ્ટ્રપ્રેમના નાદ સાથે પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com