જંબુસર શહેરના જોગનાથ મહાદેવ ફળિયામાં આવેલ એક રહેણાંક મકાનમાં આજે બપોરે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. મંજુબેન ઈશ્વરભાઈ તપોધન ભટ્ટના મકાનમાં લાગેલી આ આગ સમયે પરિવાર સામાજિક પ્રસંગ અર્થે બહારગામ ગયો હતો. બંધ મકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ સ્થાનિક રહીશો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
ઘટનાની જાણ થતા જ જંબુસર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે ઓલવી દીધી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મકાનમાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. પ્રાથમિક તબક્કે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ સ્થાનિકોની સમયસૂચકતાને કારણે મોટી હોનારત ટળી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com