ભરૂચ જિલ્લામાં સક્રિય વાહનચોરોની ટોળકી પર લગામ કસતા પાનોલી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. સુરતના અરેઠના હરિયાલ ગામના કુખ્યાત વાહનચોર રાજેન્દ્ર વસાવાને નેશનલ હાઇવે નંબર 48 પરથી દબોચી લેવામાં આવ્યો છે. આંતરજિલ્લા સ્તરે વાહનોની ઉઠાંતરી કરતા આ રીઢા ગુનેગાર પાસેથી પોલીસે કુલ 2.80 લાખની કિંમતના પાંચ ચોરાયેલા વાહનો રિકવર કર્યા છે, જેમાં એક કાર, એક રિક્ષા અને ત્રણ મોટરસાયકલનો સમાવેશ થાય છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સચોટ સમન્વયથી પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું.
પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે અંકલેશ્વર, વાલિયા, પાનોલી અને ડેડિયાપાડા જેવા વિસ્તારોના ભરચક બજારો અને પાર્કિંગને નિશાન બનાવતો હતો. ચોરીના વાહનોના સ્પેરપાર્ટ્સ છૂટા કરી વેચી નાખવાની તેની મોડસ ઓપરેન્ડી હતી, જેથી પોલીસ પકડથી બચી શકાય. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે રાજેન્દ્ર વસાવા અગાઉ પણ આવા ૮ થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. પાનોલી પોલીસે તમામ વાહનો જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેનાથી ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં વાહન ચોરીની ઘટનાઓમાં ઘટાડો થવાની આશા સેવાઈ રહી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com