અંકલેશ્વરના અંદાડા ગામમાં મિત્રતાના નાતે કાળી ટીલી લગાવતી એક અત્યંત પાશવી અને કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેમાં નજીવી બાઇક ધોવા જેવી ક્ષુલ્લક બાબતે થયેલા ઝઘડાએ એક નિર્દોષ કિશોરનો બલિ લીધો છે. કૈલાસ ટેકરી વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષીય રોહન વસાવા નામના તરુણના જીવનનો દીવો તેના જ કહેવાતા મિત્રોએ બુઝાવી દીધો છે. અંદાડા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ જેવી જાહેર જગ્યાએ ખેલાયેલા આ ખૂની ખેલમાં માનવતા સાવ વેતરાઈ ગઈ હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. ગ્રાઉન્ડ પર બેસવા ગયેલા રોહન પર તેના જ મિત્રો સાહિલ ગણપત વસાવા અને નિલેશ દિનેશ વસાવા કાળ બનીને ત્રાટક્યા હતા. માત્ર બાઇક સાફ કરવા જેવી સામાન્ય વાતમાં થયેલી બોલાચાલીએ હિંસક વળાંક લીધો અને આ નરાધમોએ રોહનને રસ્તા વચ્ચે ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું.
આ હુમલો એટલો ઘાતકી અને ઝનૂની હતો કે રોહનના છાતી અને ફેફસાં જેવા નાજુક અંગો પર ગંભીર આંતરિક ઇજાઓ પહોંચી હતી. લોહીલુહાણ અને બેભાન હાલતમાં રોહનને જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યારે તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ૧૭ વર્ષના પુત્રની લાશ જોઈ માતા પ્રિયાબેન વસાવાના આક્રંદથી આખું ગામ હિબકે ચઢ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે કે છાતીના ભાગે થયેલા અતિશય આઘાતજનક પ્રહારોને કારણે કિશોરનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સાબિત કર્યું છે કે આજની પેઢીમાં સહનશીલતાનો કેવો ભયાનક અભાવ છે કે મિત્ર પણ પળવારમાં ‘કાતલ’ બની જાય છે.
જોકે, ગુનો આચરીને ભાગી છૂટેલા નરાધમોને પાંજરે પૂરવા અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. PI અને તેમની ટીમે ગણતરીના કલાકોમાં જ આ લોહીના તરસ્યા મિત્રો સાહિલ અને નિલેશને દબોચી લીધા છે. હાલ આ બંને હત્યારાઓ જેલના સળિયા પાછળ ધકેલાયા છે અને પોલીસ તેમની સામે કાયદાનો એવો ગાળિયો કસી રહી છે કે જેથી ફરી કોઈ શખ્સ આવી હિંમત ન કરે. વાગરામાં ‘હત્યાની હેટ્રિક’ બાદ અંકલેશ્વરમાં આ રીતે કિશોરની હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે રોષ અને ફફડાટ ફેલાવ્યો છે. પોલીસની આ આકરી કાર્યવાહી હવે લોકોમાં ન્યાયની આશા જગાવી રહી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com