Geo Gujarat News

આમોદના ભીમપુરામાં આવાસ યોજના મુદ્દે સરપંચ અને લાભાર્થી વચ્ચે જંગ, સામસામે કરાઈ અરજી!

આમોદ તાલુકાના ભીમપુરા ગામમાં સરદાર આવાસ યોજનાને લઈને ઉદભવેલો વિવાદ હવે વધુ ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ લાભાર્થી દ્વારા ગેરરીતિના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, તો બીજી તરફ હવે ગામના સરપંચે પણ પોલીસ સમક્ષ પ્રતિઅરજી આપતા મામલો વધુ ગરમાયો છે. બંને પક્ષો વચ્ચેના આક્ષેપ-પ્રતિઆક્ષેપો બાદ સમગ્ર મુદ્દો હવે તંત્રની નજરમાં આવ્યો છે.માહિતી મુજબ, લાભાર્થી રમેશભાઈ રાઠોડે આવાસ યોજનાના કામમાં ગેરરીતિ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ આક્ષેપોને લઈને ગામના સરપંચ દીપસંગભાઈ પરસોત્તમભાઈ રાઠોડે આમોદ પોલીસ મથકે સામી અરજી કરી છે. સરપંચે પોતાની અરજીમાં જણાવ્યું છે કે તેમની સામે કરવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે બિનઆધારભૂત છે અને તેને રાજકીય અદાવતનું પરિણામ ગણાવ્યું છે.સરપંચના જણાવ્યા પ્રમાણે તેઓ છેલ્લા ચાર વર્ષથી ગામના વિકાસ માટે સતત કામગીરી કરી રહ્યા છે અને જાહેર સેવાઓમાં પારદર્શિતા જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. તેમનું કહેવું છે કે જૂની ચૂંટણીની અદાવતને કારણે તેમની છબી ખરાબ કરવા માટે આ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે.આગળ તેઓએ સ્પષ્ટતા કરી છે કે આવાસ યોજના હેઠળની સમગ્ર પ્રક્રિયા તાલુકા પંચાયત દ્વારા સંચાલિત થાય છે. સરકાર તરફથી મળતી સહાય સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, તેથી તેમાં સરપંચની સીધી નાણાકીય ભૂમિકા રહેતી નથી. સરપંચે જણાવ્યું કે તેમણે માત્ર કોન્ટ્રાક્ટર રાજુભાઈ ડામોરનો પરિચય કરાવ્યો હતો, પરંતુ ત્યારબાદ ચુકવણી સંબંધિત વિલંબના કારણે બાંધકામનું કામ અટકી ગયું હોવાનું જાણવા મળ્યું છે.આ સમગ્ર ઘટનાક્રમમાં બંને પક્ષો દ્વારા પોલીસ સમક્ષ અરજીઓ કરવામાં આવતા મામલો હવે વધુ ગૂંચવણભર્યો બન્યો છે. સરપંચે પોતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના આક્ષેપ સાથે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે. હવે તંત્ર દ્વારા થનારી નિષ્પક્ષ તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ મુદ્દો વાસ્તવમાં ગેરરીતિનો છે કે પછી વ્યક્તિગત અદાવતના કારણે ઉભો થયેલો વિવાદ છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.