અંકલેશ્વર નજીક પસાર થતા નેશનલ હાઇવે ૪૮ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા રહી ગયો હતો. હાઇવે પર આવેલી નવજીવન હોટલ નજીક સુરત તરફથી આવી રહેલી ગુજરાત એસ.ટી. નિગમની બસ અને રોડ ક્રોસ કરી રહેલી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અચાનક રોડ ક્રોસ કરી રહેલી ટ્રક બસની આડે આવી જતાં બસ ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બસ ટ્રક સાથે ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્માતને પગલે હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે અકસ્માત સમયે એસ.ટી. બસમાં આશરે ૪૦ જેટલા મુસાફરો સવાર હતા. ટક્કર એટલી જોરદાર હતી કે મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી, પરંતુ સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. અકસ્માતને કારણે બસના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટે વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. હાલમાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને અકસ્માત માટે જવાબદાર કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com