રેલવે મુસાફરી દરમિયાન ઉતાવળ કે બેદરકારી કેવી ભારે પડી શકે છે તેનો વધુ એક કિસ્સો ભરૂચ રેલવે સ્ટેશન નજીક સામે આવ્યો છે. શહેરના જૂના બોરભાઠા બેટ વિસ્તાર પાસે વડોદરાથી સુરત તરફ જઈ રહેલી એક ટ્રેનમાંથી ચાલુ ગતિએ ઉતરવાનો પ્રયાસ કરતી વખતે એક પરપ્રાંતીય મહિલા ગંભીર અકસ્માતનો ભોગ બની હતી. મહિલાએ ચાલુ ટ્રેને નીચે ઉતરવા માટે છલાંગ લગાવી હતી, પરંતુ તે દરમિયાન સંતુલન ગુમાવતા તે જોરદાર રીતે પટકાઈ હતી. આ અકસ્માતમાં મહિલાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે આસપાસના લોકોએ તાત્કાલિક મદદ માટે બૂમાબૂમ કરી મૂકી હતી. બનાવની જાણ થતા જ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને લોહીલુહાણ હાલતમાં મહિલાને પ્રાથમિક સારવાર આપી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી.
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલાની હાલત નાજુક હોવાથી તેની સઘન સારવાર ચાલી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઇજાગ્રસ્ત મહિલા મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી છે. ટ્રેન સ્ટેશન પર સંપૂર્ણ રીતે ઉભી રહે તે પહેલા જ ઉતરવાની ઉતાવળમાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનું મનાઈ રહ્યું છે. હાલમાં ભરૂચ રેલવે પોલીસ દ્વારા મહિલાના પરિવારજનોનો સંપર્ક કરવા અને અકસ્માત પાછળના અન્ય કારણો જાણવા માટે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વારંવાર ચાલુ ટ્રેને ન ઉતરવા અપીલ કરવામાં આવે છે. છતાં આવા જોખમી સાહસોને કારણે દુર્ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com