આમોદ તાલુકાના આછોદ ગામે આજે બપોરના સમયે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ઘરના આંગણામાં કપડા સૂકવવાના તારમાં વીજ કરંટ આવતા સગા બે ભાઈઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનામાં એક ભાઈનું મોત થયું છે, જ્યારે બીજો ભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો છે.મળતી માહિતી મુજબ, નવીનગરી વિસ્તારમાં રહેતા ઠાકોરભાઈ પ્રવિણભાઈ રાઠોડના ઘરે લોખંડની એંગલ પર કપડા સૂકવવા માટે તાર બાંધવામાં આવ્યો હતો. અચાનક આ તારમાં કરંટ આવી જતા વિજયભાઈ રાઠોડ તેની ઝપેટમાં આવી ગયા હતા. તેમની બૂમ સાંભળી મહેશભાઈ રાઠોડ મદદ માટે દોડી આવ્યા હતા.
આ દરમિયાન ઊંઘમાંથી જાગીને આવેલા ઠાકોરભાઈ રાઠોડ પણ વિજયભાઈને બચાવવાનો પ્રયાસ કરતા પોતે પણ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતા સમજી મહેશભાઈએ લાકડી વડે તાર તોડી બંનેને બચાવ્યા હતા.ઘટના બાદ તરત જ 108 ઇમરજન્સી સેવા ને જાણ કરવામાં આવી હતી અને બંને ભાઈઓને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા. જોકે, રસ્તામાં જ ઠાકોરભાઈ રાઠોડનું મોત નીપજ્યું હતું, જ્યારે વિજયભાઈ રાઠોડ હાલ સારવાર હેઠળ છે.
ઘટના અંગે આમોદ પોલીસ એ મહેશ પ્રવિણ રાઠોડની ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વીજ કરંટ તારામાં કેવી રીતે આવ્યો અને તેમાં બેદરકારી હતી કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ દુર્ઘટનાએ સમગ્ર આછોદ ગામમાં શોકનો માહોલ પેદા કર્યો છે. એક જ પરિવારમાં બનેલી આ ઘટના એ ફરી એકવાર ચેતવણી આપે છે કે વીજળી જેવી જીવનદાયી શક્તિમાં નાની બેદરકારી પણ જીવલેણ સાબિત થઈ શકે છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023