કોઈપણ સરકારી સેવામાં બદલી એ એક સહજ પ્રક્રિયા છે, પરંતુ જ્યારે લોકપ્રિય અધિકારીની વિદાય થાય ત્યારે તે ક્ષણ માત્ર વહીવટી પ્રક્રિયા ન રહેતા એક લાગણીસભર પ્રસંગ બની જતી હોય છે. વાગરા પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ગોહિલની ભાવનગર ખાતે બદલી થતા આજે પોલીસ મથક ખાતે એક વિશેષ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. પી.આઈ. એચ.બી. ગોહિલના કાર્યકાળ દરમિયાન વાગરા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રહી હતી. ગુનાખોરી ડામવા ઉપરાંત, પ્રજા સાથેનો તેમનો સીધો સંવાદ અને મૃદુ સ્વભાવ તેમને પોલીસ કર્મચારીઓ તેમજ સ્થાનિક રહીશોમાં અત્યંત પ્રિય બનાવતા હતા. રાજ્ય પોલીસ વિભાગના તાજેતરના આદેશ અનુસાર તેઓની બદલી હવે ભાવનગર ખાતે કરવામાં આવી છે, જેના પગલે તેઓને નવી જગ્યાએ કાર્યભાર સંભાળવા માટે સૂચના આપવામાં હતી.
વિદાય સમારંભ દરમિયાન પોલીસ મથકનો માહોલ ગમગીન જોવા મળ્યો હતો. સાથી પોલીસ કર્મચારીઓ, વહીવટી સ્ટાફ અને સ્થાનિક અગ્રણીઓએ પી.આઈ. ગોહિલની કામગીરીને મુક્ત મને બિરદાવી હતી. ઉપસ્થિત કર્મીઓ દ્વારા તેઓનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સહકર્મીઓએ તેમના માર્ગદર્શન હેઠળ વિતાવેલી પળોને યાદ કરી, તેમની નિષ્ઠા અને શિસ્તબદ્ધ કાર્યશૈલીના ઉદાહરણો આપ્યા હતા. વિદાય લેતા પી.આઈ. એચ.બી. ગોહિલે પણ વાગરાની જનતા અને પોલીસ સ્ટાફનો આભાર માનતા જણાવ્યું હતું કે, અહીં મળેલો સહકાર હંમેશા યાદ રહેશે. કાર્યક્રમના અંતે ભારે હૈયે સૌએ તેઓને ભાવનગર ખાતેની તેમની આગામી નવી સફર અને ભવિષ્યની જવાબદારીઓ માટે સુખદ શુભેચ્છાઓ પાઠવી હતી.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com