ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. તા. 13 મે 2026ના રોજ જાહેર કરાયેલા આદેશ મુજબ રાજ્યભરમાં 72 જેટલા ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓના ભાગરૂપે વર્ષ 2016 બેચના IAS અધિકારી ડૉ. નવનાથ કોન્ડીબા ગવ્હાણેની ભરૂચ જિલ્લાના નવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે.ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા મોડી રાત્રે જાહેરનામું બહાર પાડી તેમને તાત્કાલિક અસરથી ચાર્જ સંભાળવા આદેશ કરવામાં આવ્યા છે.ભરૂચની જવાબદારી સંભાળતા પહેલા ડૉ. નવનાથ કોન્ડીબા ગવ્હાણે સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની છે અને એમબીબીએસ (MBBS) અભ્યાસ પૂર્ણ કર્યા બાદ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) પાસ કરીને સિવિલ સર્વિસમાં જોડાયા હતા. અગાઉ તેઓ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી (DDO), ગુજરાત સ્ટેટ મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ (GSMSCL) ના મેનેજિંગ ડિરેક્ટર તેમજ અધિક ગ્રામીણ વિકાસ કમિશનર જેવા મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી ચૂક્યા છે.
આ સાથે ભરૂચના વર્તમાન કલેક્ટર ગૌરાંગ એચ. મકવાણાની પણ બદલી કરવામાં આવી છે. તેમને ક્લાઈમેટ ચેન્જ વિભાગ હેઠળ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)માં ડિરેક્ટર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત તેઓને ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (GPCL) અને ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગણાતા ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા વિકાસપ્રકલ્પો, ઉદ્યોગોના પ્રશ્નો અને નાગરિક સુવિધાઓમાં ડૉ. નવનાથ કોન્ડીબા ગવ્હાણેના વહીવટી અનુભવથી નવી ગતિ મળશે તેવી સ્થાનિક સ્તરે અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com