ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા શબે બરાત પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામ ધર્મના હિજરી સન શાબાન માસની ૧૫ તારીખે શબે બરાત પર્વની ઉજવણી કરવામાં આવે છે. શબે બરાત પ્રસંગે મસ્જિદો, દરગાહોને રોશનીથી શણગારવામાં આવી હતી. પાલેજ નગરમાં આવેલી મક્કા મસ્જિદ સહિત નગરની વિવિધ મસ્જિદોમાં રાત્રે મગરીબ તેમજ ઇશાની નમાઝ બાદ વિશેષ નવાફીલ નમાઝ અદા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. શબે બરાત પર્વ મુખ્યત્વે આ. ફાની દુનિયાને અલવિદા કહી જતા રહેલા મર્હુમો માટે વિશેષ મહત્વ ધરાવતું પર્વ છે. અસરની નમાઝ બાદ પાલેજ સ્થિત બન્ને કબ્રસ્તાનોમાં ફાની દુનિયાને અલવિદા કહી જતા રહેલા પોતાના સ્વજનોની કબર પર ફૂલો અર્પણ કરી ખિરાજેઅકિદત પેશ કરી હતી.

ઇશાની નમાઝ બાદ મોડી રાત્રી સુધી મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં રોકાઇ વિશેષ નવાફિલ નમાઝો અદા કરી હતી. સાથે સાથે ઇબાદત પણ અદા કરી હતી. મક્કા મસ્જિદમાં મસ્જિદ કમિટી દ્વારા વિશેષ જિક્ર શરીફનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પણ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. મક્કા મસ્જિદના ખતિબો ઇમામ મૌલાના મોહમ્મદ અશરફી સાહેબે જીક્ર શરીફ અદા કરાવ્યું હતું. જિક્ર શરીફ બાદ મૌલાના મોહમ્મદ અશરફી સાહેબે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે તે માટે દુઆ ગુજારી હતી. જીક્ર શરીફ બાદ સલાતો સલામના પઠન બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com