- ઝઘડિયાની કેએલજે પેટ્રોપ્લાસ્ટ કંપની સંકુલમાં પતરાના આવાસો ઉભા કરીને શ્રમિકોને કેમ રખાય છે?
- સંભવિત દુર્ઘટનાઓથી માનવ જીંદગીને નુકશાન થાયતો કોણ જવાબદાર..?
ભરૂચ જિલ્લાએ વિતેલા સમય દરમિયાન ઔદ્યોગિક ક્ષેત્રે મોટો વિકાસ કરતા જિલ્લો ઔધોગિકરણની બાબતે રાજ્યમાં મોખરાનું સ્થાન મેળવવામાં સદભાગી બન્યો. ઔધોગિક વિકાસ થયો એ સારી વાત ગણાય,પરંતું ક્યારેક કેટલાક કંપની સંચાલકો કંપનીમાં કામ કરતા કામદારો કે શ્રમિકોની સલામતી બાબતે ઉણા ઉતરે કે પછી લાપરવાહી બતાવે તો આ વાત કોઇપણ રીતે ચલાવી લેવાય નહિ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઇડીસીમાં અવારનવાર બ્લાસ્ટ આગજની કે ગેસ લિકેજ જેવી દુર્ઘટનાઓ સર્જાય છે. અને ભુતકાળમાં આ પૈકી કેટલીક દુર્ઘટનાઓમાં મહામુલી માનવ જીંદગીઓ પણ નંદવાઇ હતી,છતાં કેટલાક કંપની સંચાલકોને મન હજી જાણે કામદારો કે શ્રમિકોની જીંદગીનું કોઇ મહત્વ હોય એમ જણાતું નથી. જીઆઇડીસીની કેએલજે પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં કંપની સંકુલમાં પતરાના આવાસો બનાવીને કામદારોને રાખવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે. ભુતકાળમાં જીઆઇડીસીમાં સર્જાયેલ જીવલેણ દુર્ઘટનાઓ બાદ પણ હજુ કંપની સંચાલકો માનવ જીંદગીની સલામતી બાબતે સભાન નથી, અથવાતો બેદરકારી બતાવી રહ્યા છે એ વાત આ બાબતથી સાબિત થઇ રહી છે.

ઉલ્લેખનીય છેકે જીઆઇડીસીમાં નોટિફાઇ્ડ એરિયા કચેરી તેમજ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન કાર્યરત છે, ઉપરાંત ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ આ બાબતે (માનવતાની દ્રષ્ટિએ પણ) દરમિયાનગીરી કરી શકે. છતાં જાણે માનવ જીંદગીઓને સસ્તી સમજી બેઠેલા કંપની સંચાલકોને કેમ સમજ નથી આવતી એ પણ એક સવાલ છે ! બ્લાસ્ટ ગેસ લિકેજ કે અન્ય દુર્ઘટના સર્જાય ત્યારે કંપની સંકુલમાં રખાતા લોકોને કોઇ નુકશાન કે જાનહાની થાય તો એ માટે કોને જવાબદાર ગણવા ? કંપની સંચાલકોને કે પછી આવી બાબતોને આડકતરી રીતે પોષતા જવાબદાર તંત્રના સત્તાધીશોને ? આ પ્રશ્ન તાકીદે જવાબ માંગે છે. વધુમાં મળતી વિગતો અનુસાર આ બાબતો પ્રત્યે જિલ્લા તેમજ રાજ્ય સ્તરે પણ રજુઆત કરવામાં આવનાર છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com