જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટાર-બામણીયા હોડીઘાટને બંધ કરાવી કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લામાં નર્મદા તટે આવેલ ઝનોર ખાતે ગેરકાયદેસર રીતે લોકોના જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટાર-બામણીયા હોડીઘાટને બંધ કરાવી કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકા પંચાયત સદસ્ય નીતા માછીની આગેવાનીમાં અન્ય ગ્રામજનોએ પાઠવેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે, ભરૂચના ઝનોર મુકામે જીલ્લા પંચાયત હસ્તકનો ઓરપટાર-બામણીયા હોડીઘાટ વર્ષ 2023-24 માટે પરવાનાથી ચલાવવા છેલ્લા 12 માસથી જુના ઇજારદાર દ્વારા જીલ્લા પંચાયતમાં પરવાનાના રૂપીયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં આ પ્રકારનું કૃત્ય ચલાવવા પાછળ કયા-કયા અધિકારીઓનો હાથ છે. જે એક ગંભીર તપાસનો વિષય છે. કારણ કે, આ ઇજારદાર દ્વારા જીલ્લા પંચાયતમાં પરવાનાના રૂપિયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે હોડીઘાટ ચલાવવામાં આવતો હોય જેનાથી જીલ્લા પંચાયત ભરૂચને પણ ઘણું નાણાંકીય નુકશાન થયું છે જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેથી આ બાબતે યોગ્ય તપાસ કરાવી જવાબદાર વ્યક્તિઓ પાસેથી નુકશાનીના નાણાં વસુલ કરવામાં આવે તેમજ ઓરપટાર-બામણીયા હોડીઘાટ કોઇપણ જાતના સુરક્ષાના નિયમોનું પાલન કર્યા વગર ચલાવવામાં આવે છે. મુસાફરોને સેફટી જેકેટ પહેરાવવામાં આવતા નથી અને મુસાફરો સાથે હોડીમાં મોટર બાઇકો પણ ચઢાવવામાં આવે છે. ઉપરાંત ઢોર-ઢાખરને પણ આ હોડીમાં બાંધીને એક કિનારેથી બીજા કિનારે ખેંચીને લઈ જવામાં આવે છે. જે ખૂબ જ જોખમ કારક છે. હોડીઘાટમાં ઝનોર ગામે ભણવા માટે આવતા તરસાલી, ઓર અને પટાર ગામના વિદ્યાર્થીઓ પણ જીવના જોખમે હોડીમાં અવર જવર કરે છે. તેમ પણ આવેદનમાં જણાવાયું છે. તાજેતરમાંજ વડોદરામાં હરણી બોટ દુર્ઘટના સર્જાઈ હતી. જેના સ્મરણો હજુ ઓસર્યા નથી. ત્યારે ભરૂચમાં પણ કોઈ હોનારત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ રહેશે.? જેથી સેફ્ટીના નિયમોનું પાલન કર્યા સિવાય ચલાવવામાં આવતો આ હોડીઘાટ બંધ કરાવી જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહીની માંગ ઉઠી છે.

તો આ અંગે બીજી તરફ લુલો બચાવ કરતા કમલેશ માછી એ પણ એક ગંભીર આક્ષેપ સાથે વિડિયો વાયરલ કર્યો છે. આમ બંને બોટ સંચાલકો દ્વારા આમનેસામને આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જો કે, બંનેના ધંધામાં સામાન્ય લોકોના જીવ જોખમાય રહ્યા છે. જેથી તંત્ર દ્વારા હાલ કાર્યરત બોટ સંચાલક વિરૂદ્ધ તથસ્ટ તપાસ કરી જરૂરી કાર્યવાહી કરી જનહિતમાં નિર્ણય લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. હવે જોવું એ રહ્યું કે જિલ્લા પંચાયત ક્યારે ઊંઘ ઉડાડે છે.? અને આ અંગે ઠોસ પગલાં ભરે છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com