- ધારાસભ્ય ડી.કે.સ્વામીની રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા ૩.૧૯ કરોડની ફાળવણી કરાઈ.
આમોદ નવા એસ.ટી.ડેપોનું ૭ મી માર્ચના રોજ ભરૂચ પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઇ- ખાત મુહુર્ત કરાયું હતું.ત્યાર બાદ સાંજે ૬ કલાકે આમોદ એસ.ટી.ડેપોના પટાંગણમાં આમોદ નગરપાલીકા પ્રમુખ જલ્પાબેન પટેલના હસ્તે ખાતમુહુર્ત કરાયું હતું.આમોદ ખાતે જર્જરિત એસ.ટી.ડેપોના સ્થાને ગુજરાત સરકાર દ્વારા નવો એસ.ટી.ડેપો બનાવવા માટે રૂપિયા ૩.૧૯ કરોડની ફાળવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ,ઉપપ્રમુખ જશુભાઇ રાઠોડ, કારોબારી ચેરમેન ગીતાબેન પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકાબેન પરમાર,શાસક પક્ષના નેતા બાનુબેન ચૌહાણ સહિત પાલિકા સદસ્યો તેમજ આમોદ શહેર ભાજપના મહામંત્રી પ્રમોદભાઈ પટેલ,વેપારી આગેવાન મહેશભાઈ કાપડિયા,સુલતાનજી ખત્રી,પરેશ છત્રીવાલા તેમજ એસ.ટી. નિગમના અધિકારી તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ ખાતે વર્ષ ૧૯૯૧ માં બનેલા એસ.ટી.ડેપો ની જાળવણી ના અભાવે હાલત જર્જરિત થઈ જતાં છેલ્લા ઘણા વર્ષોથી એસ.ટી.ડેપો બંધ હાલતમાં હતો.જેથી આમોદ નગર સહિત તાલુકાની પ્રજાને ભારે હાલાકી વેઠવી પડી હતી.ત્યારે આમોદ નગરજનોએ તેમજ વેપારી આગેવાનોએ ધારાસભ્ય ડી.કે.સ્વામીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી.જેથી જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે.સ્વામીની રજૂઆતને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા જર્જરિત બનેલા એસ. ટી.ડેપોને જમીનદોસ્ત કરી ફરી નવો બનાવવા માટે ૩.૧૯ કરોડની માતબર રકમ ફાળવતા આમોદ નગર સહિત પંથકમાં મુસાફરો, વેપારીઓ,નોકરિયાતો,તેમજ વિદ્યાર્થી વર્ગમાં આનંદ છવાઈ ગયો હતો.
યાસીન દિવાન – આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com