આમોદ તાલુકાના પાંચ ગામના લોકોએ ઉબડ ખાબડ બનેલા ખખડધજ રોડનું રિફ્રેસિંગ કામ નહી થતાં આજ રોજ આમોદ નાયબ મામલતદાર હેતલ ચૌધરીને આવેદનપત્ર આપી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.

આમોદ તાલુકાના મછાસરા, માંગરોલ, દેણવા, વલીપોર,હેતમપુર ગામના આગેવાનોએ આજ રોજ નાયબ મામલતદાર હેતલ ચૌધરીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે આછોદ થી લઈને દેણવા સુધી ૧૦ કિલોમીટર સુધીનો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે. ઉબડ ખાબડ અને ખખડધજ બનેલા રોડ ઉપરથી વાહનચાલકોને અવર જવર કરવામાં ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ છે. આ પાંચ ગામના લોકોનો તબીબી ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્રે પણ આમોદ સાથે દૈનિક વ્યવહાર જોડાયેલ છે.જેથી બિસ્માર બનેલા રોડને કારણે દર્દીઓ, પ્રસૂતા બહેનો વૃદ્ધો તેમજ બીમાર વ્યક્તિઓને વાહન મારફતે અવર જવરના કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ત્યારે ગ્રામજનોએ તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નહી મળતા તેમની ધીરજનો અંત આવતા પાંચ ગામના લોકોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની તંત્રને લેખિત ચીમકી ઉચ્ચારી હતી.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com