વાગરા તાલુકામાં ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચતા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. આ ક્ષણે ઓરા ચોકડી ખાતે વાગરા મુસ્લિમ ગરાસિયા સમાજ દ્વારા આ રથનું સ્વાગત કરી રાજ્યવ્યાપી વિરોધને સમર્થન જાહેર કર્યું હતું.
આ સમયે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, મહિલાઓ તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. બીજેપીના પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે કરાયેલ વાહિયાત ટીપણીને લઈ ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી. પરંતુ તે રદ નહીં કરાતા ક્ષત્રિય સમાજમાં ઉકળતો ચરૂ દેખાઈ રહ્યો છે. ભાજપાનો ઠેરે-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ ધર્મરથ વાગરા ગામે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું. ધર્મરથ લઇ વિરપાલસિંહ અટોદરિયા સાથે પૃથ્વીરાજસિંહ પરમાર, પરિમલસિંહ રણા, કમલસિંહ રાજ, મનોજભાઈ પરમાર, મયુર સિંહ પરમાર, સહિત અગ્રણીઓ જોડાયા હતા.
આ પ્રસંગે ક્ષત્રિય સમાજના અગ્રણી વીરપાલ સિંહે જણાવ્યું હતું કે ભારત દેશમાં આપણે 22 કરોડ છીએ જે ભાજપે આપણને ઓછા આંકી એક વ્યક્તિ પ્રત્યે પ્રેમ રાખી તેને છાવરવામાં આવે છે.ક્ષત્રિય સમાજ તમામ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. આ આપણી અસ્મિતાનો પ્રશ્ન છે. આ નાનકડા છોડને ખાતર, પાણી આપી આપણે વટ વૃક્ષ બનાવ્યું આ વટ વૃક્ષ આપણને છાંયડો ન આપતો હોય તો આ વટ વૃક્ષને ક્ષત્રિય સમાજ કાપી ફેંકવાની તાકાત ધરાવે છે. અને આ સાબિત કરવાનું યુદ્ધ છે. આપણે બધા એક થઈ આ ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરીને બતાવવાનું છે. તેમ જણાવ્યું હતું.
બીજી તરફ મુસ્લિમ ગરાસિયા સમાજના આગેવાન સાજીદ રાજે જણાવ્યું હતું, અમે સભ્ય સમાજના આ રથનું દિલથી સ્વાગત કરીએ છીએ રાજ્યભરમાં નીકળેલ આ વિરોધ રથને સમર્થન જાહેર કરીએ છીએ. આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ અગ્રણીઓ, તાલુકા અગ્રણીઓ, આજુબાજુ ગામના ગ્રામજનો પણ હાજર રહ્યા હતા.
નઈમ દિવાન, વાગરા