કરજણના કિયા ગામમાં આવેલી હજરત સૈયદ ખોખરશા સરકાર તેમજ હજરત સૈયદ કૉચકશા સરકારની દરગાહ શરીફ પર તેઓના અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. અંભેટા શરીફના હજરત સૈયદ જિયાઉદ્દિન બાવા સાહેબ, હજરત સૈયદ ઉવૈશી બાવા સાહેબની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફ પ્રસંગે બન્ને સરકારના આસ્તાના પર મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા. સંદલ શરીફનું ઝુલુસ પુર્વ ઉપ સરપંચ વસીમ મલેકના નિવાસ સ્થાનેથી અનુયાયીઓની ઉપસ્થિતિમાં પ્રયાણ થયું હતું.
જે ઝુલુસ સલાતો સલામના પઠન સાથે ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઇ દરગાહ શરીફ પર પહોંચ્યું હતું. હજરત સૈયદ જિયાઉદ્દીન સાહેબ, હજરત સૈયદ ઉવૈશી બાવા સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. હજરત સૈયદ જિયાઉદ્દીન બાવા સાહેબ, હજરત સૈયદ ઉવૈશી બાવા સાહેબ તેમજ વસીમ મલેકના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ ચાદર અને ગીલાફ અર્પણ કરાયા હતા. ઉપસ્થિત અકિદતમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ ચાદર તેમજ ગીલાફ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. શુક્રવારના રોજ ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવશે. આયોજિત ઉર્સ શરીફમાં મશહુર કવ્વાલ મુરાદ આતિશ અને અજીમ નાઝા કવ્વાલીની રમઝટ બોલાવશે.