ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથક ખાતે આજે તા.૧ લી જુલાઇના રોજ નવા ફોજદારી કાયદાઓના અમલ અંગે લોક જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છેકે ત્રણ નવા ફોજદારી કાયદા સોમવારથી સમગ્ર દેશમાં અમલમાં આવ્યા છે,જેને લઇને ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં વ્યાપક ફેરફારો આવશે.ઉમલ્લા પોલીસ મથકમાં આજે નવા ફોજદારી કાયદાઓ અંગેના જાગૃતિ કાર્યક્રમમાં પીએસઆઇ એ.એન ચૌધરી ઉપસ્થિત નાગરીકો અને મહિલાઓને તેમજ વિદ્યાર્થીઓ ને નવા કાયદાઓના અમલ અંગેની જાણકારીથી માહિતગાર કર્યા હતા.આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ નવા કાયદા ન્યાયના ભારતીય મૂલ્યો પર આધારિત છે,અને તે ભારતીય ન્યાય વ્યવસ્થાને પ્રતિબિંબિત કરે છે,અને મૂળ ભારતીય ન્યાય સંહિતાની વાસ્તવિક ભાવના છતી કરે છે.

આ અંગે વધુમાં જણાવાયું હતું કે મોબાઇલ પર એનસીઆરબી નામની એપ ડાઉનલોડ કરી શકાય છે જેના દ્વારા નવા ફોજદારી કાયદાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન મેળવી શકાશે.આયોજિત કાર્યક્રમમાં ઉમલ્લા ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને આજથી નવા અમલમાં આવેલ કાયદાઓ સંબંધી જરૂરી જાણકારી મેળવીને સંતોષ વ્યક્ત કર્યો હતો.

કાદર ખત્રી, ઝઘડિયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com