ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે રહેતા દિપાલીબેન પરમાર તાલુકાના કરાડ ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે.ગતરોજ તા.૧૦ મીના રોજ સવારના સાડા દસ વાગ્યાના સમયે તેઓ શાળાએ આવ્યા હતા,શાળાના આચાર્ય શંકરભાઇ ગોહિલ ઝઘડિયા બીઆરસી ભવન ખાતે તાલિમમાં ગયા હતા.

શિક્ષિકાને લાકડાના સપાટા મારનાર ઇસમ સામે ફરિયાદ નોંધાઇ
શાળાના સમય દરમિયાન દિપાલીબેન બાળકોને ભણાવતા હતા,અને ત્યારબાદ શાળા છુટવાના સમયે કરાડ ગામનો મેલાભાઇ નટવરભાઇ વસાવા નામનો ઇસમ તેના હાથમાં એક લાકડું લઇને આવ્યો હતો અને દિપાલીબેનને માથામાં સપાટો મારી દીધો હતો તેમજ ત્યારબાદ ઉપરાછાપરી સપાટા મારતા દિપાલીબેન ઇજાગ્રસ્ત થયા હતા.

આ બનાવની જાણ ઝઘડિયા ગયેલ શાળાના આચાર્યને કરવામાં આવતા તેઓ ત્યાં આવી ગયા હતા અને ઇજાગ્રસ્ત દિપાલીબેનને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ ગયા હતા, ત્યારબાદ તેમને વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ઘટના સંદર્ભે દિપાલીબેન પરમારે મેલાભાઇ નટવરભાઇ વસાવા રહે.ગામ કરાડ તા.ઝઘડિયાના વિરૂધ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે સદર ઇસમ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
કાદર ખત્રી, ઝઘડિયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com