શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ટ્રસ્ટ ભરૂચ દ્વારા જંબુસરના સરસ્વતી વિદ્યા મંદિર ખાતે નિશુલ્ક પાઠદાન કેન્દ્ર ચાલી રહ્યું છે. જેમાં સમાજના વંચિત શોષિત અને મધ્યમ વર્ગના બાળકો નિશુલ્ક અભ્યાસ કરી રહ્યા છે આ નિશુલ્ક પાઠદાન કેન્દ્ર માં અભ્યાસ કરતા બાળકોના વાલીઓની વાલી મીટીંગ આજરોજ સ્વરાજ ભવન જંબુસર ખાતે યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વાલી પોતાના બાળકો લઈને ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી ઉપસ્થિત રહ્યા હતા સાથે અતિથિ વિશેષ સ્થાને વડોદરાના અક્ષયભાઈ શાહ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના શારીરિક પ્રમુખ મેહુલભાઈ વાળંદ તથા રાષ્ટ્રીય સ્વયંશક સંઘના ભરૂચ વિભાગ કાર્યવાહ રાહુલભાઈ ઠાકર તથા અગ્રણી નિલેશભાઈ ભાવસાર,દેવદત્ત પટેલ, અજીતભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં મહાનુભાવોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પાઠદાન કેન્દ્રના બાળકોએ તેમને અભ્યાસ કરાવતા ગુરુજનોનું તિલક કરી પુષ્પો અર્પણ કરી પૂજન કર્યું હતું. સાથે બાળકોએ સમૂહમાં શ્લોક ગાન કર્યું હતું પાઠદાન કેન્દ્રમાં આવતા તમામ બાળકોને રેવા સેવા સમન્વય સમિતિ ટ્રસ્ટ તરફથી સ્કૂલબેગ, કંપાસ બોક્સ, પેન્સિલ તથા નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. સરસ્વતી વિદ્યા મંદિરની વિદ્યાર્થીની સ્નેહલબેન મકવાણાને શિષ્યવૃત્તિ પરીક્ષામાં સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થવા બદલ ઉપસ્થિત મહેમાનો ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભવોએ પોતાના ઉદબોધનમાં શિક્ષણ સાથે સંસ્કારના સમન્વયથી સમાજ ઉથ્થાનના આ કાર્યને બિરદાવ્યું હતું અને પાઠદાન કેન્દ્રમાં સેવા આપતા શિક્ષકોને ધન્યવાદ આપ્યા હતા.
કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવા વિભાગ તરફથી ચાલતા મેડિકલ સાધન સહાય સેવા, એમ્બ્યુલન્સ સેવા, બ્લડ ડોનેશન સેવા, આયુર્વેદિક પેટી સેવા જેવા વિવિધ સેવા કાર્યો ની માહિતી આપવામાં આવી હતી અંતે સૌ કલ્યાણ મંત્ર કરી છુટા પડ્યા હતા.