ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ આઈએનએસ બ્રહ્મપુત્રમાં રવિવારે સાંજે આગ લાગવાની ઘટના બની હતી. જહાજમાં લાગેલી આગને કાબુમાં તો લઈ લેવાઈ છે, પરંતુ જહાજ એક તરફ અડધો અડધ નમી ગયું છે.
એક સૈનિક ગુમ, નૌકાદળે તપાસના આપ્યા આદેશ
ભારતીય નૌકાદળના પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘જહાજ પર એક નૌસૈનિક સિવાય તમામ સૈનિકોની શોધખોળ કરી લેવાઈ છે. હાલ ગુમ થયેલ સૈનિકની શોધખોળ ચાલી રહી છે. આ ઉપરાંત ભારતીય નૌકાદળે જહાજમાં આગ કયા કારણોસર લાગી, તેની તપાસ કરવાના પણ આદેશ આપી દીધા છે.
સાંજે લાગેલી આગ બીજા દિવસે સવારે કાબુમાં લેવાઈ હતી
ઉલ્લેખનીય છે કે, 21 જુલાઈની સાંજે ભારતીય નૌકાદળના મલ્ટી-રોલ યુદ્ધ જહાજ આઈએનએસ બ્રહ્મપુત્રમાં રેપેરિંગનું કામ કરતી વખતે અચાનક આગ લાગી ગઈ હતી. જોકે નૌકાદળ ડૉકયાર્ડ અને બંદરમાં હાજર અન્ય જહાજોના ફાયરબ્રિગેડના કર્મચારીઓ તુરંત દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. જોકે ભારે જહેમત બાદ તેઓએ 22 જુલાઈએ સવાર સુધીમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. આ ઉપરાંત આગના કારણે થયેલા નુકસાનનું આંકલન કરવા માટે સૈનિટાઈજેશન તપાસ સહિત અન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.